રાજકોટમાં 13 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી નિર્મમ હત્યા કરનાર આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી, જાણો શું છે કેસ

  • February 26, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ યુવરાજનગર પાસે રહેતી ૧૩ વર્ષની બાળકી ઉપર તા.૨૭/૦૬/૨૦૨૩ના રોજ બળાત્કાર કરી તેની નિર્મમ હત્યા કરનાર આરોપી જયદિપ ઉમેશભાઈ પરમાર (ઉં.વ.૨૪)ને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફરમાવી પોક્સો કોર્ટના જજ પી. જે. તમાકુવાલાએ સરકારની વળતર સ્કીમ હેઠળ પરિવારજનોને ૭ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે.


લાકડા વીણવા ગયેલી પુત્રી ઘરે પરત ન આવી
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ યુવરાજનગરમાં સ્મશાન પાસે રહેતી ૧૩ વર્ષની ભોગ બનનાર બાળકી તા.૨૭/૦૬/૨૦૨૩ના રોજ તેની ઘરેથી સાંજના સમયે લાકડા વીણવા ગઈ હતી. રાત સુધી બાળકી પરત નહીં આવતા તેની માતાએ શોધખોળ કરી હતી. પરંતુ બાળકી કયાંય મળી આવી નહોતી. બીજા દિવસે આ વિસ્તારમાં આવેલ અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. નામના બંધ કારખાનામાં મશીનો વચ્ચે ભોગ બનનારની લાશ મળી આવી હતી. આજી ડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એલ.એલ. ચાવડાએ લાશનું ઈન્કવેસ્ટ પંચનામુ તૈયાર કર્યું હતું. 


એકથી વધુ વખત બળાત્કાર થયાનું તપાસમાં ખુલ્યું
જેમાં લાશ ઉપરના અનેક ભાગો ઉપર ગંભીર ઈજાઓ જણાઇ આવી હતી તથા ગુપ્ત ભાગો ઉપર પણ ઘાતકી ઈજાઓ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ લાશનું પોસ્ટ મોર્ટમ કરાવતા ભોગ બનનાર મૃતક બાળા ઉપર એકથી વધુ વખત બળાત્કાર થયેલ હોવાનું તથા ઈજાઓ થયેલ હોવાનું જણાઇ આવ્યું હતું. આ અંગે પોલીસે ગુપ્તપણે તપાસ આદરતા તા.૦૨/૦૭/૨૦૨૩ના રોજ સાંજના સમયે આરોપી જયદિપ પરમાર પકડાઈ ગયો હતો. 


આ પૂરાવાએ આરોપીનો ભાંડો ફોડ્યો
આરોપીની ધરપકડ સમયે તેણે પહેરેલ કપડા તથા આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડા કબ્જે કરવામાં આવ્યા હતા. આ કપડાઓ ફોરેન્સિક તપાસ અર્થે મોકલતા તેના કપડાઓ ઉપર મૃતક બાળકીનું લોહી મળી આવ્યું હતું. તેમજ મૃતક બાળકીની લાશ અને કપડાઓ ઉપર આરોપીનું લોહી પણ મળી આવ્યું હતું. આરોપી સામે આ મુબજનો ચોક્કસ વૈજ્ઞાનિક પૂરાવો મળી આવતા પોક્સો કોર્ટમાં આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.


કેસ ચાલુ થતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે, આરોપી અને મૃતક બાળકીના લોહીના જે ગૃપ એકબીજાના કપડામાં મળી આવેલ છે તે લોહીના ગૃપ અનેક વ્યકિતઓના હોય શકે છે અને આથી હાલના આરોપીએ જ ગુનો કરેલ હોવાનું સાબિત થતું નથી. તેમજ આ આરોપી અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના બંધ કારખાનામાં મૃતક બાળા સાથે ગયેલ હતો તે અંગેનો કોઈ પુરાવો રજૂ થયેલ નથી.​​​​​​​


સરકાર તરફે વકીલે કોર્ટને શું રજૂઆત કરી
સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતું કે, આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડા ઉપર જે ગૃપનું લોહી મળી આવેલ છે તે લોહી ભોગ બનનારનું ન હતું તો આ ગૃપનું લોહી આરોપીના કપડા ઉપર બીજા ક્યાં કારણસર આવેલ છે તે જણાવવાની કાયદાકીય જવાબદારી આરોપીની છે. આ અંગે આરોપીએ કોઈ ચોખવટ કરેલ નથી. આ મુજબનો જ્યારે વૈજ્ઞાનિક પુરાવો મળી આવેલ હોય ત્યારે બનાવ સમયે આરોપી બનાવવાળી જગ્યાએ ન હતા તે સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર રહે છે. 


૭ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ 
વધુમાં જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઈ મુજબ આ મુજબનો પુરાવો હોય ત્યારે તેઓ બનાવ સ્થળે હાજર ન હતા તે એક જ બચાવ માન્ય છે. હાલના આરોપીએ આવો કોઈ જ બચાવ લીધેલ નથી કે સાબિત કરેલ નથી. ત્યારે આરોપી પોતે જ ગુનેગાર હોવાનું આપોઆપ સાબિત થાય છે. સરકાર તરફેની આ દલીલોના અંતે સ્પે. પોક્સો કોર્ટે આરોપી જયદિપ ઉમેશભાઈ પરમારને હત્યા અને બળાત્કારના ગુનામાં જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવેલ છે તથા સરકારની "વિકટીમ કોમ્પન્સેશન સ્કીમ' હેઠળ મૃતકના પરિવારજનોને ૭ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application