ચોરી પે સીનાજોરી: પુત્રીની છેડતી કરનારને ઠપકો આપતા દંપતી અને પુત્ર પર હુમલો

  • March 05, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણમાં રહેતા કરિયાણાના વેપારીની પુત્રીની બાખલવડમાં રહેતો શખસ પજવણી કરતો હોય જેથી આ બાબતે તેને ઠપકો આપ્યો હતો. જેનો ખારે રાખી પજવણી કરનાર આ શખસના પરિવારે વેપારી તથા તેની પત્ની અને પુત્રને ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જે અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં સાત શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


જસદણમાં નવા માર્કેટિંગ યાર્ડ બાજુમાં શિવનગરમાં રહેતા વિનોદભાઈ ઉર્ફે વિનુ ભનાભાઈ ધોળકિયા (ઉ.વ 47) દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના બાખલવડમાં રહેતા કિશોર ઉર્ફે કિશન અમરશીભાઈ પલાળીયા, વિશાલ વિનુભાઈ પલાળીયા, વિમલ અમરશીભાઈ પલાળીયા, અજય વિનુભાઈ પલાળીયા, અમરસિંહ જુગાભાઈ પલાળીયા, અજય વિનુભાઈ પલાળીયાની પત્ની તેના માતા સહિતનાના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને બાખલવડ ગામે બાપા સીતારામના ઓટા પાસે કરિયાણાની દુકાન આવેલી છે. ફરિયાદીને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ગત તા.૩/૩ ના સાંજના પાંચેક વાગ્યે તેઓ જસદણથી ઘરે આવતા હોય ત્યારે વીંછિયા રોડ પર બાપાસીતારામના ઓટા પાસે પહોંચતા તેમની દીકરી લાઇબ્રેરીથી ચાલીને ઘરે જતી હતી ત્યારે બાજુમાં બાખલવડનો વિશાલ પલાળીયા બાઈક ચલાવી તેમની દીકરી સાથે કંઈક વાત કરતો હોય જેથી તેમણે બૂમ પાડતા વિશાલ અહીંથી જતો રહ્યો હતો. બાદમાં તેઓ પોતાની દીકરીને ઘરે મૂકી દુકાને જતા રહ્યા હતા દરમિયાન તેમનો પુત્ર સંજય દુકાને આવ્યો હતો અને વાત કરી હતી કે, વિશાલ જસદણ ખાતે બહેનનો હાથ પકડી તેના મોટરસાયકલમાં બેસી જવાનું કહેતો હોય અને તેની સાથે ફોનમાં વાત કરવાનું કહેતો હોય અને તેની મરજી વિરુદ્ધ ફોન કરતો હોય તથા વારંવાર મેસેજ કરી હેરાન પરેશાન કરે છે અને તે જ્યારે ચાલીને જતી હોય ત્યારે તેનો પીછો કરી તેને હેરાન કરે છે.


જેથી આ બાબતે વિશાલના ઘરે ફરિયાદી ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે તેના ઘરના સભ્યોએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં આ શખસો ફરીયાદીની કરિયાણાની દુકાને આવ્યા હતા અને ગાળાગાળી કરી કહેતા હતા કે, તારા છોકરાને બહુ જ હવા આવી ગઈ છે જેથી અમારા ઘરે ઝઘડો કરવા આવે છે તેમ કહી ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન ફરિયાદીના પત્ની કાંતુબેન તથા તેમનો દીકરો સંજય વચ્ચે પડતા તેમને પણ ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન અહીં ગામ લોકો એકત્ર થઈ જતા દંપતી અને તેના પુત્રને વધુ મારમાંથી બચાવ્યા હતા અને બાદમાં 108 મારફત સારવાર માટે ત્રણેયની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીને વધુ ઇજા પહોંચી હોય જેથી તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application