દેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત

  • June 01, 2025 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 3,783 પર પહોંચી ગઈ છે, જે એક ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. આરોગ્ય વિભાગની વેબસાઇટ મુજબ 22 મેના રોજ ભારતમાં ફક્ત 257 કેસ હતા. આમ, માત્ર 9 દિવસમાં કોરોનાના કેસોમાં લગભગ 1300% નો જંગી વધારો જોવા મળ્યો છે.

તાજેતરના આંકડા મુજબ, કેરળમાં સૌથી વધુ 1,400 સક્રિય કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 485 અને દિલ્હીમાં 436 સક્રિય કેસ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 28 લોકોના મોત થયા છે. અગાઉ, 30 મેની સવારે 8 વાગ્યા સુધીમાં ફક્ત 7 મૃત્યુનો આંકડો સામે આવ્યો હતો, જે દર્શાવે છે કે છેલ્લા બે દિવસમાં દેશભરમાં 21 લોકોના મોત નોંધાયા છે.


મૃત્યુ પામેલાઓમાં બેંગલુરુના 63 વર્ષીય એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે, જેમણે કોરોનાની બંને વેક્સિનના ડોઝ લીધા હતા અને બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. આ ઉપરાંત, દિલ્હીમાં 60 વર્ષના એક વૃદ્ધનું પણ મોત થયું છે. મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધુ 7-7 લોકોએ જીવ ગુમાવ્યા છે.


​​​​​​​આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, કર્ણાટક સરકારે શનિવારે એક જાહેર સલાહકાર પત્ર (પબ્લિક એડવાઇઝરી) બહાર પાડ્યો હતો. જેમાં લોકોને ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા, શારીરિક અંતર જાળવવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, તાવ, ખાંસી, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવા પણ સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application