પૂ. જલારામ બાપા વિશે ટીપ્પણી કરનાર સ્વામીએ માફી માંગી લેતા વિવાદ પુર્ણ

  • March 05, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અખીલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની પ્રેસ કોન્ફરન્સમાં કરાઇ જાહેરાત: સમગ્ર મામલે સ્વામી નારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ પણ ખુલાશો આપશે


પૂજય જલારામ બાપા વિશે સુરતના સ્વામીએ વિવાદાસ્પદ વિધાન કરતા લોહાણા સમાજ સહિતના ભકતજનોમાં ભારે રોષ ભભુકી ઉઠયો હતો, આ મામલે વીરપુર બંધ તથા આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની જાહેરાત કરાઇ હતી, દરમ્યાનમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી લેતા અને બોર્ડ દ્વારા પણ ખુલાશો અપાશે એવી બાહેધરી આપતા હાલ વિવાદ પુર્ણ થયો છે એવી મોટી જાહેરાત ગઇકાલે જામનગર ખાતે અખીલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની અઘ્યક્ષતામા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.


સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વિરપુરના સંત શિરોમણી શ્રી પૂ. જલારામ બાપા વિશે સ્વામીનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામીએ ટીપ્પણી કરતા ભારે વિવાદ વકર્યો હતો અને આ મામલે વિરોધનો વંટોળ ઉઠયો હતો, દરમ્યાન આગળના કાર્યક્રમો માટે પ્રેસ કોન્ફરન્સ યોજવા સહિતના કાર્યક્રમો ઘડવામાં આવી રહયા હતા, દરમ્યાનમાં સુરતના સ્વામીએ પોતાની ભુલ સ્વીકારી વિરપુર આવીને માફી માંગશે તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના વડા પણ આ મામલે ખુલાશો આપશે એવી બાહેંધરી અપાતા વિવાદનો અંત આવ્યો છે.


ગઇકાલે સાંજે અખીલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં જામનગર ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમા સમગ્ર મામલે વિગતો આપવામાં આવી હતી, લોહાણા સમરાજના અગ્રણી જીતુભાઇ લાલે આ કોન્ફરન્સમાં મિડીયા-પત્રકારો સમક્ષ માહિતી આપતા કહયુ હતું કે, પૂજય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ વિધાન કરનાર સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર આવી માફી માંગશે અને સમગ્ર મામલે સ્વામી નારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડના વડા પણ ખુલાશો આપશે આથી હાલ વિવાદ પુર્ણ થયો છે.


આગળ તેમણે એમ પણ કહયુ હતું કે પૂજય જલારામ બાપા રોટલો અને માફી આપવી એ માટે જાણીતા છે આથી સમાજ દ્વારા પણ સ્વામીને માફી આપવી અને ભવિષ્યમાં આ પ્રકારની ટીપ્પણી ન કરે એ બાબતે બાહેંધરી લેવી એવું નકકી થતા હાલ વિવાદ બાબતે સુખદ સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application