રાજકોટમાં ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજના બદનક્ષી કેસમાં ગંભીર યુ-ટર્ન, ચારેય કોંગી આગેવાને કોર્ટમાં માફીનામું લખી દીધુ, જાણો પછી શું થયું

  • March 15, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેરની ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા આક્ષેપો કરનાર કોંગ્રેસના ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ પ્રવીણ પરમાર, સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ ૫૨મા૨, સી.જે. ચાવડા સામેના બદનક્ષી કેસમાં ગત તા. ૧૩ના ગુરુવારે આરોપીઓએ હાજર થઇ પ્લી નોંધાવ્યા બાદ આજે કેસમાં યુ-ટર્ન આવ્યો છે, જેમાં કોર્ટ દ્વારા આજે આપેલી મુદતમાં ચારેય આરોપીઓએ હાજર થઈને બદનામી કર્યા બાબતે બિનશરતી માફીનામું લખી આપતા ફરિયાદ પક્ષ તરફથી પણ કેસ પાછો ખેંચવાની કોર્ટને પુરસીસ આપવામાં આવી છે.


આ અંગેની હકીકત મુજબ, અલગ અલગ અખબારી મીડિયાના અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી વિરોધપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામભાઈ રાઠવા, વિધાનસભામાં કોગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા તેમજ વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશ પ્રવીણ પરમાર દ્વારા પ્રેસનોટ પ્રસારીત કરી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા ૫૦૦ કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપો ફરીયાદી નીતીનભાઈ વિરૂધ્ધ કર્યાના અનુસંધાને ફરીયાદી નીતીનભાઈએ ઉપરોકત તમામ વ્યકિતઓને લીગલ નોટીસ મોકલી ખોટા આક્ષેપો કરવા બદલ અને જુઠાણું ફેલાવવા બદલ માફી માંગવા જણાવેલ હતું. જે લીગલ નોટીસનો કોઈ જવાબ ન આવતા ચારેય કોંગ્રેસના આગેવાનો વિરૂધ્ધ ફરીયાદી નીતીનભાઈએ રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.


ફરિયાદી નીતીનભાઈએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત પોતાની કોર્ટ રૂબરૂની ઉપરોકત હકિકતોવાળી ફરીયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી તેઓને કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો. પરંતુ તે બાદ ઘણી મુદ્દતો વીતી જતા ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ ન હતા. આથી ફરીયાદ પક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપતા કોર્ટે ફરીયાદપક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે તા. ૧૩મી માર્ચે રાજકોટ કોર્ટમાં હાજર થવા જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરાયું હતું, દરમિયાન સુખરામ રાઠવા સહિત બે આરોપીએ રાજકોટ ખાતે જ પહોંચી જઇને વોરંટ રદ કરાવ્યું હતું, પરંતુ તેમને પણ 13મી માર્ચે આરોપીઓ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો હતો.



૧૩મીએ ચારે આરોપીઓએ કોર્ટમાં હાજર થઈને અગાઉ હાજર નહીં થવા બદલ પ્લી રજૂ કરી હતી. જેમાં અદાલતે આરોપીઓને આજે તા. 15 મીએ શનિવારે હાજર થઈ કેસ ચાલુ કરવા માટે હાજર રહેવા હુકમ કર્યો હતો તે મુજબ, ચારેય આરોપીઓએ અદાલત સમક્ષ હાજર થઈને નીતિનભાઈની બદનક્ષી કરવા બાબતે સહી કરેલું માફીનામું રજૂ કર્યું હતું, એ સામે ફરિયાદ પક્ષ દ્વારા પણ કેસ પાછો ખેંચવા બાબતે કોર્ટમાં પુરસીસ રજુ કરી દીધી હતી. આમ લાંબા સમયથી ચાલતા આ કેસમાં યુ-ટર્ન આવવા સાથે પૂર્ણવિરામ મુકાઇ જવા પામ્યું છે. આ કામમાં ફરિયાદી નીતીનભાઈ ભારદ્વાજ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ ૫૨મા૨, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, કૃણાલ દવે, ચેતન પુરોહીત વિગેરે તેમજ આરોપીઓ તરફથી એડવોકેટસ પરેશ કુકાવા અને વિરલ ભટ્ટ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application