સિટી બસ અકસ્માતને લઈ રાજકોટ મનપામાં કોંગ્રેસનું હલ્લાબોલ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી, કમિશનરના ટેબલ ઉપર રમકડાંની બસો દોડાવી

  • May 03, 2025 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સિટી બસ કાંડમાં ચારના મોત બાદ ગરમીનું કારણ જાહેર કરી બંધ કરાયેલી તદ્દન નવી ઇલેક્ટ્રિક સિટી બસોની સેવા મામલે આજે કોંગ્રેસે મહાપાલિકા કચેરીમાં હલ્લાબોલ સર્જયો હતો. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના ટેબલ ઉપર રમકડાંની સિટી બસો દોડાવી હતી. આ વેળાએ કોંગી કાર્યકરો અને વિજિલન્સ પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી.

મ્યુનિ.વિપક્ષી વર્તુળોએ જણાવ્યું હતું કે, સીટી બસ બાબતે અગાઉ કમિશનરને આવેદનપત્ર અપાયા બાદ તેનો કોઈ યોગ્ય હકારાત્મક કે નકારાત્મક જવાબ ન મળતા આજરોજ કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના ૫૦ જેટલા આગેવાનો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ઘસી ગયા હતા અને ઉગ્ર સુત્રોચાર કરી ન્યાય આપો, પીડીતોને ન્યાય આપો, ભાજપનો ભ્રષ્ટાચાર બંધ કરો, સીટી બસમાં ચાલતી ખોટ અંગે ભ્રષ્ટાચારીઓને કડક સજા કરો સહિતના સૂત્રો સાથે કમિશનર કચેરી ગજાવી હતી અને મ્યુનિ. કમિશનરને આવેદનપત્રની સાથે રમકડાની બસો અર્પણ કરી હતી.


પોલીસની કમાન છટકી હતી

કમિશનરના ટેબલ ઉપર રમકડાંની બસો દોડાવતા પોલીસની કમાન છટકી હતી અને કોંગી કાર્યકરો સાથે પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, સંજયભાઈ અજુડીયા, રાજદીપસિંહ જાડેજા, દીપ્તિબેન સોલંકી, ડી પી મકવાણા, વિજયસિંહ જાડેજા, શાંતાબેન મકવાણા, નાગજીભાઈ વિરાણી, મનીષાબા વાળા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, મીનાબેન જાદવ, યૂનુશભાઈ જુણેજા, ગજેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઈ વાળા, અજીતભાઈ વાંક, રાવલ, કનુભાઈ રોજાસરા, દીપકભાઈ પરમાર, લાખાભાઈ ઉંધાડ, જીતુભાઈ ઠાકર, ગોપાલભાઇ અનડકટ, જેન્તીભાઈ હિરપરા, જલ્પેશ વાઘેલા, જીગ્નેશ બોરડ, રવજીભાઈ ખીમસુરીયા, દિલીપભાઈ આસવાણી, ચિંતનભાઈ દવે, જીગ્નેશ પાટડીયા, રાજુ આમરણીયા, મયુરસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


કોંગ્રેસએ કઇ પાંચ માંગણીઓ રજૂ કરી ?

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા સમક્ષ ચાર માંગણીઓ લેખિતમાં રજૂ કરાઇ

(૧) તમામ બંધ પડેલી ઇલેક્ટ્રિક સીટી બસોની સેવા તત્કાલ શરૂ કરવામાં આવે 

(૨) જુલાઈ ૨૦૨૨ થી વિશ્વમ સીટી બસ સાથે કોન્ટ્રાક્ટ બાદ અપાયેલી નોટિસો અને દંડની વિગતો જાહેર કરવામાં આવે 

(૩) એજન્સીને બ્લેકલિસ્ટેડ કરવામાં આવે

 (૪) ગત ઉનાળે આટલી જ ગરમી હતી છતાં ઇલેક્ટ્રિક બસો બંધ પડી ન હતી અને તો આ વર્ષે બસો કેમ બંધ પડી ? તેનું કારણ આપો 

(૫) બસોમાં ફોલ્ટ હોય બસો કંપનીને પરત આપી નવી બસો મંગાવો


મ્યુનિસિપલ કમિશનર એ શું કહ્યું ?

બસની ક્ષતિઓ ચકાસવા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી છે. તેમાં નિષ્ણાંતો પણ છે તેઓ બનાવ અંગેનો રિપોર્ટ આપશે.હાલ પોલીસ તપાસ ચાલુ છે. કમિશનરને રિપોર્ટ મળૅ તેના ઉપરથી પણ કાર્યવાહી કરશું.હવે બસની સ્થિતિ માટે કાયમ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રહેશે.બંધ થવા સહિતની બાબત ઉપર સુપરવિઝન રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application