ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આજે સાંજે રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે અને મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ શહેર-જિલ્લાને રૂ.૩૪૩.૩૯ કરોડના ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ.૨૧૩.૭૯ કરોડના ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ રાજકોટ શહેર અને જિલ્લાને કુલ રૂપિયા ૫૫૭.૧૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે.
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે ૪ કલાકથી આ લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમનો પ્રારંભ થયો છે જેમાં રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરીયા, મેયર નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, સાંસદો પરશોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબહેન શાહ, જયેશભાઈ રાદડીયા, ગીતાબા જાડેજા, ડૉ.મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ રાજકોટ શહેરના તમામ વોર્ડના તમામ કોર્પોરેટર સાથે વન ટુ વન શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનારા વિકાસ પ્રકલ્પો
રાજકોટ જિલ્લાના શહેરી, ગ્રામીણ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો પુરો પાડવા, ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. ૨૩૮.૧૧ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જિલ્લાના છેવાડાના વિસ્તારોના નાગરિકોને દરરોજ માથાદીઠ ૧૦૦ લીટર પાણી મળી રહે તે માટે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. ૮૪.૨૯ કરોડના ખર્ચે મોવિયા, મચ્છુ-૧ અને પડધરી એમ ત્રણ જૂથ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણનાં કામો સંપન્ન થયા છે. આ ત્રણ જૂથ યોજનાઓ થકી રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાનાં ૧૩૨ ગામ-નગરોના આશરે ૩.૭૦ લાખથી વધુ લોકોને માથાદીઠ ૧૦૦ લીટર પાણી નિયમિત મળશે.જસદણ ખાતે આશરે સાત એકરમાં રૂ.૮.૪૦ કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું રમત સંકુલ નિર્માણ પામ્યું છે.રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ખીરસરા-લોધિકા રોડનું રૂ. ૬.૬૮ કરોડના ખર્ચે રિ-સરફેસિંગ કરવામાં આવ્યું છે.રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સમાં રૂ. ૫.૯૧ કરોડના ખર્ચે અદ્યતન આર્ટ ગેલેરીનું નિર્માણ કરાયું છે. આ તમામ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે.
મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થનારા વિકાસ પ્રકલ્પો
રાજકોટ જિલ્લામાં પાંચ માર્ગો તથા બ્રિજનું રૂ. ૧૦૫.૯૧ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત લોધિકા- રીબડા - કોટડા સાંગાણી રોડ, રામપર - સરપદડ - ખીરસરા રોડ, કોઠારિયા - કોટડા સાંગાણી રોડ, જસદણ - ભડલી- ગઢડા રોડ, ધોરાજી-પાટણવાવ રોડનું મજબૂતીકરણ તથા રિ-સરફેસિંગ કરાશે. તેમજ ગોંડલ ખાતે હોસ્પિટલ બ્રિજ તથા સરદાર બ્રિજનું પુનઃ નિર્માણ કરાશે.
રાજકોટ શહેરના નાગરિકોને વધુ સુવિધાઓ આપવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫૦.૫૨ કરોડની રકમનાં ૧૭ વિકાસ કામો હાથ ધરાશે. જે અંતર્ગત પ્રાથમિક શાળા માટે નવું બિલ્ડિંગ, આંગણવાડીનું બાંધકામ, નવા ફિલ્ટર પ્લાન્ટ અને વરસાદી પાણી થકી ભૂગર્ભ જળ સંચય જેવા કાર્યો અને પર્યાવરણ સંરક્ષણના કામો કરવામાં આવશે. આ સાથે શહેરના વિવિધ વોર્ડમાં ડ્રેનેજ, કચેરીઓના રી-કન્સ્ટ્રક્શન, પેવિંગ બ્લોક, ભૂગર્ભ ગટર, રસ્તા અને વોટરવર્કસ્ નેટવર્કને વધુ મજબૂત કરવાનાં કામો કરાશે.
જિલ્લામાં આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા રૂ. ૪૬. ૩૧ કરોડનાં વિકાસ કામો હાથ ધરાયા છે. જસદણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રને રૂ. ૩૨.૧૨ કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. ઉપરાંત રાજકોટની મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારોની સુવિધા માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગની સુવિધા રૂ. ૧૪.૧૯ કરોડના ખર્ચે ઊભી કરાશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. ૬.૧૪ કરોડના ખર્ચે તરઘડીથી બાગી ગામ સુધી વિશિષ્ટ બિટ્યૂમિનસ રોડ બનાવવામાં આવશે. જેનાથી લોકોને ચોમાસા દરમ્યાન થતી મુશ્કેલીઓનો અંત આવશે.
પી.જી.વી.સી.એલ.ની માળખાકીય સુવિધામાં વધારો કરતાં માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન ઓફિસના બિલ્ડિંગનું બાંધકામ રૂ. ૪.૩૬ કરોડના ખર્ચે કરવામાં આવશે.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. ૫૫ લાખના ખર્ચે રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે કેક્ટસ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે.
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૧૮ કરોડથી વધુના રસ્તા તથા પુલના લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રસ્તા, પાણી, વીજળીના નેટવર્કને વધુ મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુદ્રઢ આંતરમાળખાકીય સુવિધાઓ એ વિકાસની પહેલી શરત છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના ૬ રસ્તાઓ અને ૨ પુલના ખાતમુહૂર્ત અને ખીરસરાથી લોધિકા સુધીના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાને આર્થિક, સામાજિક અને આંતરમાળખાકીય રીતે વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રીશ્રીના હસ્તે માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ.૧૧૨ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર પાંચ રોડ અને બે પુલનું ખાતમુહૂર્ત તથા એક રોડનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે રૂડા હેઠળના તરઘડીથી બાઘી ગામ સુધીના ગાડા માર્ગને આધુનિક રસ્તો બનાવવાના રૂ.૬ કરોડથી વધુના કામનો પણ મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે.
માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે હોસ્પિટલ બ્રિજ અને સરદાર બ્રિજને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. આગામી સમયમાં અંદાજે રૂ. ૨૨.૩૭ કરોડના ખર્ચે આ બંને પુલોનું પુનઃસ્થાપન થતા ગોંડલના વ્યાપારી અને રહેણાંક વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધશે, સાથે જ નાના ઉદ્યોગોને પણ તેનાથી વેગ મળશે.
લોધિકા, રીબડા અને કોટડા સાંગાણીને જોડતા ૩૧ કિલોમીટરના રસ્તાનું અંદાજે રૂ. ૨૭.૭૭ કરોડના ખર્ચે નિર્માણ થશે.જેનાથી લોધિકા, સાંગણવા, રીબડા, ગુંદાસરા, અરડોઇ, કોટડા સાંગાણી જેવા ગામોની ૨૦,૫૦૦થી વધુની વસ્તીને પરિવહન માટે લાભ થશે. લોધિકા જી.આઇ.ડી.સી. દ્વારા ઉત્પાદિત પેદાશોના વહનને ઝડપી અને સરળ બનાવી શકાશે. કોટડાસાંગાણીની ખેતપેદાશોને બજાર સુધી ઝડપથી પહોંચાડી શકાશે અને ગ્રામીણ વિસ્તારોમાં નવીન રોજગારીની તકો પણ ઊભી થશે.
કોઠારીયાથી કોટડા સાંગાણી સુધીના નગર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાને અંદાજે રૂ. ૩૨ કરોડના ખર્ચે પહોળો અને વધુ મજબૂત બનાવવામાં આવશે. જેનાથી કોઠારીયાના ગીચ શહેરી વિસ્તારમાં થતા ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ થશે તેમજ કોટડા સાંગાણીના ગ્રામજનો માટે રાજકોટની શાળાઓ અને હોસ્પિટલ સુધી પહોંચવું સરળ બનશે.
રામપર, સરપદડથી ખીરસરા સુધીના રોડનું રૂ.૧૧.૫૭ કરોડના ખર્ચે રીસર્ફેસિંગનું કામ હાથ ધરવામાં આવશે,જે પૂર્ણ થતાં રામપર અને સરપદડના ખેડૂતોની કૃષિપેદાશો ખીરસરા અને રાજકોટના બજારો સુધી ઝડપથી પહોંચી શકશે. સાથે જ પડધરી તાલુકાને લોધિકા જી.આઇ.ડી.સી.જેવા ઇન્ડસ્ટ્રીયલ હબ સાથે જોડવામાં આ રસ્તો મદદરૂપ બનશે. ગામડાંઓ અને શહેર વચ્ચેનું અંતર ઘટતાં ગ્રામીણ વિસ્તારના લઘુ ઉદ્યોગો તેમજ ડેરી ઉદ્યોગને વધુ વેગ મળશે.
જસદણ અને ગઢડાને જોડતા જસદણ, ભડલી, ગઢડા રોડનું રૂ.૯ કરોડના ખર્ચે રીસર્ફેસિંગ થતાં આગામી દિવસોમાં ધાર્મિક પ્રવાસન એવા ગઢડાના સ્વામિનારાયણ મંદિર સુધી લોકોને પહોંચવું સરળ બનશે. જસદણની કૃષિ અને હસ્તકલા ઉત્પાદનનું પરિવહન ઝડપી બનશે. તો ધોરાજીથી પાટણવાવ સુધી વરસાદી વાતાવરણમાં પણ ટકાઉ એવો અંદાજે રૂ. ૩.૨૦ કરોડના ખર્ચે સિમેન્ટ- કોંક્રિટનો રોડ બનાવી ટ્રાફિક અને ગતિશીલતામાં સુધારો કરવામાં આવશે. ગીચ બજારો અને રહેણાંક વિસ્તારોમાં તેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે.
ખીરસરાથી લોધિકાના ૧૨ કિ.મી.થી વધુના રોડનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. અંદાજે રૂ. ૬.૬૮ કરોડના ખર્ચે નિર્મિત આ માર્ગ દ્વારા ખીરસરાના ખેડૂતો અને લોધિકા જી.આઇ.ડી.સી.ના ઉદ્યોગો વચ્ચે સીધું આદાન-પ્રદાન થઈ શકશે તેમજ ખેતપેદાશો અને લોધિકાની ઔદ્યોગિક પેદાશોનું વહન કરવું પણ સરળ બનશે.
રાજકોટ શહેરની સીમાઓ ખૂબ ઝડપથી વિસ્તરી રહી છે, ત્યારે મુખ્યમંત્રીના હસ્તે રૂડા હેઠળના તરઘડીથી બાઘી ગામ સુધીના હયાત ગાડા માર્ગને રૂ. ૬.૧૪૦ કરોડના ખર્ચે આધુનિક બીટયુમીનસ રોડ બનાવવામાં આવશે. જેનાથી આગામી દિવસોમાં ગાડા માર્ગ પર ચોમાસા દરમિયાનમાં થતી આવાગમનની મુશ્કેલીઓનું નિરાકરણ આવશે તેમજ રાજકોટ જામનગર હાઇવેથી તરઘડી ગામ અને બાઘી ગામને જોડતો ટૂંકો રસ્તો બનવાથી તરઘડી, બાઘી, નારણકા વગેરે ગામોના આશરે આઠ થી દસ હજાર લોકોની અવરજવર સરળ બનશે.આમ, અંદાજે ૧૧૮ કરોડથી વધુના રસ્તાના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થકી રાજકોટ જિલ્લાની આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે .
રાજકોટ જિલ્લામાં આરોગ્યને લગતા કુલ ૪૬.૩૧ કરોડનાં બે કામનાં ખાતમુહૂર્ત થશે
રાજકોટની મુલાકાતે પધારી રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ મજબૂત બનાવતા રૂપિયા ૪૬.૩૧ કરોડના બે વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત કરવામાં આવશે. જેમાં જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા રાજકોટ એમ.સી.એચ.ના મલ્ટીલેવલ કાર પાર્કિંગનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ અમલીકરણ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, જસદણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રને રૂ. ૩૨.૧૨ કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. જેમાં ૫૦ બેડની ક્ષમતા ઊભી કરાશે. આ સાથે ઈમરજન્સી ઓપરેશન થિયેટર, અન્ય બે ઓપરેશન થિયેટર અને આઈ.સી.યુ., પુરુષ વોર્ડ, મહિલાઓ તેમજ પ્રસૂતાઓ માટે અલગ વોર્ડ, લેબોરેટરી, એક્સ-રે, ફિઝિયોથેરાપી વિભાગ, ટી.બી.ના દર્દીઓ માટે અલગથી વોર્ડ સહિતની સુવિધાઓનું નિર્માણ કરાશે. જેના પગલે જસદણ તથા વિંછિયા પંથકના લોકોને આરોગ્યની વધુ સારી સુવિધા મળશે.
આ ઉપરાંત રાજકોટની મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારોની સુવિધા માટે મલ્ટીલેવલ કાર પાર્કિંગની સુવિધા રૂ.૧૪.૧૯ કરોડના ખર્ચે ઊભી કરવામાં આવશે. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા બે માળના આ મલ્ટીલેવલ પાર્કિંગમાં ૧૬૭ ફોર વ્હીલર તથા ૧૭૫ ટુ વ્હીલરનું પાર્કિંગ થઈ શકશે.
ઈશ્વરીયા ગાર્ડન ખાતે રૂ. ૫૫ના લાખના ખર્ચે કેકટસ ગાર્ડનનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. ૫૫ લાખના ખર્ચે રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે કેક્ટસ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત ૬ જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા લોકમેળા બચત ગ્રાન્ટમાંથી ઈશ્વરીયા પાર્ક ખાતે કેકટસ ગાર્ડન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૫૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા આ ગાર્ડનમાં એન્ટ્રી ગેટ, માહિતી કેન્દ્ર, વોક વે, ડ્રાય ગાર્ડન, ગઝેબો, કેકટસ સ્કલ્પચર એરિયા તેમજ પ્લાન્ટેશન સહિતની કામગીરી કરવામાં આવશે. સામાન્ય નાગરિકો કેક્ટસના વિવિધ રૂપોને, તેના ગુણોને જાણે તે માટે હેતુથી આ ગાર્ડનનું નિર્માણ કરાઈ રહ્યું છે. આ ગાર્ડન બનવાથી શહેરીજનોને હરવા-ફરવા માટે વધુ એક સ્થળ ઉપલબ્ધ થશે.
મુખ્ય વિકાસકામો ઉડતી નજરે
- મહાપાલિકાના ૬૦ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત
- નવનિર્મિત ખીરસરા લોધિકા રોડનું લોકાર્પણ
- તરઘડીથી બાધી બીટ્યુમિનલ રોડનું ખાતમુહૂર્ત
- ઝનાના હોસ્પિટલમાં ૧૪ કરોડના ખર્ચે મલ્ટી લેવલ કાર પાર્કિંગ સુવિધા
- જસદણ આરોગ્ય કેન્દ્રનું હોસ્પિટલ તરીકે અપગ્રેડેશન
- ૬૬ કેવીના સાત સબ સ્ટેશનોનું લોકાર્પણ
- જસદણમાં ૮.૫૦ કરોડના સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech