ગુજરાતના લોકલાડીલા યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આજે જન્મદિવસ

  • July 15, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભામાં રેકોર્ડબ્રેક 156 બેઠક સાથે શાસનધૂરા સંભાળનાર રાજ્યના લોકલાડીલા અને યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આજે તા.15 જુલાઇના રોજ જન્મદિવસ છે.તા.15-7-1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્રભાઇએ આજે સફળત્તમ જીવનના 62 વર્ષ પૂર્ણ કરી 63મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમની બીજી ઇનિંગમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે અને રાજ્યમાં સુશાસનને વધુ મજબુત બનાવવા પ્રતિબધ્ધ છે.
ભૂપેન્દ્રભાઇ રજનીકાંત પટેલએ રાજકીય કારકિર્દીનો પ્રારંભ અમદાવાદની મેમનગર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે કર્યો હતો અને વર્ષ 2017માં ઘાટલોડિયા મત વિસ્તારમાંથી વિધાનસભામાં ભાજપ્ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા અને ત્યારબાદ તેમને વર્ષ 1999માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષ 1999-2000 અને 2004-2006ના સમયગાળા દરમિયાન તેમણે પ્રશંસનીય રીતે જવાબદારીઓ નિભાવી હતી.
વર્ષ 2008-2010 દરમિયાન તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારીઓ નિભાવી હતી ત્યારબાદ વર્ષ 2010 થી 2015 દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલે થલતેજ વિસ્તારના વોર્ડ કોર્પોરેટર તરીકે સેવાઓ આપી હતી. આ સમય દરમિયાન ભૂપેન્દ્રભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા હતા. વર્ષ 2015માં ભૂપેન્દ્રભાઈ પટેલને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના ચેરમેનપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2017માં તેઓ ઘાટલોડીયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા. ભૂપેન્દ્રભાઇ પટેલએ 13 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રથમ વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
ભૂપેન્દ્રભાઈ પટેલએ અમદાવાદ શહેરની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે.કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદપાલ લાઇબ્રેરીમાં સક્રિય સભ્ય છે. પોલિટિક્સ ઉપરાંત તેઓ ક્રિકેટ અને બેડમિંટન જેવા સ્પોટ્ર્સમાં પણ ઊંડો રસ ધરાવે છે. તેઓ પૂજય દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના ફોલોઅર છે. પટેલ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી છે. આજકાલ દૈનિક પરિવાર સાથે પારિવારિક નાતો ધરાવતા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જીવનના આગામી વર્ષોમાં અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેમજ ગુજરાત રાજ્યને પણ વિકાસના નવા ઉચ્ચત્તમ શિખરો સર કરાવે તેવી આજકાલ દૈનિક પરિવારે શુભકામનાઓ પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application