તેરમાંની વિધી સુધી મારા પરિવાર સાથે રહેજે...સુસાઇડ નોટ લખી સુરતમાં બેંક મેનેજરે કરેલા આપઘાત કેસમાં પ્રેમિકા સામે ગુનો નોંધાયો

  • March 03, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના અડાજણ પવિત્રા રો-હાઉસમાં બે મહિના પૂર્વે ઈન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજરે કેબલ વાયરથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ પ્રકરણમાં બેંકના મેનેજરના પિતાએ બેંક અધિકારીની પરિણીત પ્રેમિકા વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આપઘાત સમયે પ્રેમિકા હાજર હોવા છતાં કોઇને જાણ પણ ન કરી હોવાનો FIRમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે, આપઘાત પહેલા યુવકે અંગ્રેજીમાં એક લેટર લખ્યો હતો અને તેની પ્રેમિકાને આપ્યો હતો. જેમાં 'હું તને પસંદ કરું છું, GM બન્યા પછી લગ્ન કરીશ' જેવી અનેક લાગણીશીલ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે આ લેટરને જ સુસાઇડ નોટ પુરવાર કરી છે અને આ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


'દર વર્ષે મારા જન્મ દિવસની ઉજવણી કરજે'
અમને પૂજાને આપેલા લેટરમાં લખ્યું હતું, 'હું તને પસંદ કરું છું, GM બન્યા પછી લગ્ન કરીશ, પૂજા મેં તારી સાથે કયારેય કંઈ ખોટુ કર્યુ નથી, મારી શરૂઆતથી તારી સાથે જે લાગણી છે તે અત્યારે પણ છે, આ જન્મમાં તો નહીં પરંતુ આવતા જન્મમાં આપણે સાથે રહીશું. મારા આત્યાંતિક પગલાં પછી સામાજીક દબાણમાં ના આવવાની સલાહ આપાવાની સાથે તેરમાંની વિધી સુધી મારા પરિવાર સાથે રહેજે અને દર વર્ષે મારા જન્મ દિવસની ઉજવણી કરજે. ઉપરાંત માતા-પિતાને ઉદ્દેશીને લખ્યું હતું કે મેં તમને બહુ હેરાન કર્યા છે, હું સારો પુત્ર બની શક્યો નથી તેનો અફસોસ છે. જ્યારે બહેનને પણ હું એક સારો ભાઈ બની શક્યો નથી અને તમને બધાને હેરાન કર્યા એ બદલ માફી માગી હતી.


કેબલ વાયર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
મૂળ રાજસ્થાનના અલવરના વતની અને હાલ અડાજણના પવિત્રા રો-હાઉસમાં રહેતા અમન રાકેશભાઈ ભાર્ગવ (ઉ.વ.30) ઈન્ડિયન બેંકની વરાછા શાખામાં આસિસ્ટન્ટ મેનેજર હતા. અપરિણીત અમનને સાથે ઇન્શ્યોરન્સનું કામ કરતી પરિણીતા સાથે મિત્રતા થઈ હતી. તે દરમિયાન અમને ગત 4 જાન્યુઆરીએ બપોરે ઘરના પહેલા માળે દરવાજા પર કેબલ બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જેની મિત્રો દ્વારા જાણ થતાં પિતા રાકેશ રામકિશોર ભાર્ગવ સહિત પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. અડાજણ પોલીસને જાણ થતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.​​​​​​​


અમને આપઘાત કર્યો ત્યારે પૂજા હાજર હતીનો FIRમાં ઉલ્લેખ
સ્થળ પરથી અમને અંગ્રેજીમાં લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. આ બનાવમાં હવે આપઘાત કરનાર અમનના પિતા રાકેશ ભાર્ગવે અડાજણ પોલીસ મથકમાં તેની પ્રેમિકા પૂજા કાપડિયા (ઉ.વ. 34, રહે.ભટાર-મૂળ નેપાળ) વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણા મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પોલીસ સમક્ષ જણાવ્યું છે , ગત તા. 4ના રોજ મારા પુત્ર અમને આપઘાત કર્યો એ સમયે પૂજા ત્યાં હાજર હતી. બંનેએ બહારથી જમવાનું મંગાવ્યું હતું અને સાથે જમ્યા હતા, એ પછી બંને વચ્ચે કોઈ અણબનાવ બન્યો હોવાની શંકા છે.


પૂજા પ્રેમમાં ફસાવી ઇમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઇચ્છતી હતી
વધુમાં FIRમાં જણાવ્યું હતું કે, અમને જ્યારે આપઘાત કર્યો ત્યારે પણ પૂજા ત્યાં હાજર હતી અને બુમાબુમ કે પડોશીઓને જાણ સુધ્ધા કરી ન હતી. ઉપરાંત અમને એક લેટર પૂજાને આપ્યો હતો, જેમાં તેની સાથેના પ્રેમસંબંધ અને માતા-પિતા તથા બહેનના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેને પગલે અમનના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, પૂજા પરિણીત હોવા છતા મેનેજર તરીકે અમન સારો પગાર મેળવતો હોવાથી પ્રેમમાં ફસાવી ઇમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઇચ્છતી હતી.​​​​​​​

સુસાઇડ પહેલા આપેલો લેટર સુસાઇડ નોટ પુરવાર થઇ
છેલ્લા ચારેક મહિનાથી બેંક ઓફ બરોડામાં નોકરી કરતી પૂજા અગાઉ ઈન્ડિયન બેંકમાં અમન ભાર્ગવ સાથે જ નોકરી કરતી હતી. આપઘાત પૂર્વે અમને પૂજાને એક લેટર આપ્યો હતો અને ઘરે ગયા બાદ વાંચવાનું કહ્યું હતું. ત્યાર બાદ પહેલા માળે જઈ અમને ફાંસો ખાઇ લીધો હતો. પૂજા પહેલા માળે ગઇ ત્યારે અમનને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ ચોંકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસને પૂજાએ લેટર આપ્યો હતો, જે લેટર જ સુસાઇડ નોટ પુરવાર થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application