મોટી બાણુગાર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત: દંપત્તિ ખંડિત

  • April 24, 2025 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાઈક સવાર કારખાનેદાર ઇજાગ્રસ્ત બન્યા: પાછળ બેઠેલા તેમના પત્નીનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયુ


જામનગર તા ૨૩, જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર મોટી બાણુગાર ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે એક કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં જામનગરના બ્રાસપાર્ટના એક કારખાનેદાર ઇજાગ્રસ્ત બન્યા છે, જ્યારે બાઈકની પાછળ બેઠેલા તેઓના પત્નીનું ગંભીર ઇજા થઇ હોવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે, અને દંપત્તિ ખંડિત થયું છે.


અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજ રાજેશ્વરી સોસાયટી શેરી નંબર- ૨ માં રહેતા અને ઉદ્યોગ નગરમાં બ્રાસ પાર્ટનું કારખાનું ધરાવતા હિતેશભાઈ પટેલ નામના ૫૦ વર્ષના કારખાનેદાર વેપારી, કે જેઓ ગઈકાલે બપોરે ૧.૩૦ વાગ્યાના આરસામાં પોતાનું બાઈક લઈને તેમાં પાછળની સીટમાં પત્ની લીલાબેન (ઉ.વ.૪૮) ને બેસાડીને જઈ રહ્યા હતા.


જે દરમિયાન મોટી બાણુંગાર ગામના પાટીયા પાસે જી.જે. -૧ ડબલ્યુ. પી. ૧૨૬૩ નંબરની મહિન્દ્રા કંપનીની એક કારના ચાલકે બાઈક ને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. 


જે અકસ્માતમાં પટેલ દંપતિ ગંભીર સ્વરૂપે ઘાયલ થયું હતું, અને પાછળની સીટમાં બેઠેલા લીલાબેન ને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હોવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે કારખાનેદાર હિતેશભાઇ પટેલ ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની સધન સારવાર ચાલી રહી છે.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતક લીલાબેન ના પુત્ર શરદભાઈ હિતેશભાઈ પટેલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં કારના ચાલક સામે અકસ્માત સર્જી પોતાના માતાનું મૃત્યુ નિપજાવવા અંગે તેમજ પિતાને ઇજાગ્રસ્ત બનાવવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application