દિલ્હીના એક શખ્સએ શેર બજારમાં રોકાણના બહાને રૂ. ૧ લાખ મેળવી લીધા બાદ નફા સહિત રૂ. ૩.૮૬ ની રકમ લઈને છુમંતર થયાની પોલીસ ફરિયાદ
જામનગરના ગોકુલ નગર નજીક સરદાર પાર્ક-૧ માં રહેતા અને જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની સીમ વિસ્તારમાં લાઈન સ્ટોનની ખાણ ધરાવતા વેપારી તેજુ સ્વામી બજરંગીલાલ સ્વામીએ પોતાની સાથે કુલ રૂપિયા ૩.૮૬.૧૦૦ ની છેતરપિંડી કરવા અંગે દિલ્હીના રહેવાસી પવન કુમાર રાકેશપ્રકાશ મથુરીયા સામે શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી તેજુ સ્વામી બજરંગીલાલ ના સંપર્કમાં આવેલા દિલ્હીના પવનકુમારે સૌપ્રથમ શેરબજારમાં રોકાણની લાલચ આપી રૂપિયા ૧,૦૦,૦૦૦ મેળવ્યા હતા, અને શેર બજારમાં રોકાણ કર્યું હતું. જેમાં તારીખ ૧૦.૧૦.૨૦૨૪ સુધીની ગણતરીએ એક લાખની રકમ તેમજ ૨.૮૬ લાખના નફા સહિત કુલ ૩,૮૬,૧૦૦ ની રકમ ફરિયાદી વેપારીને આપવાની થતી હતી, પરંતુ તે રકમ આજદિન સુધી પરત નહીં આપી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી આખરે મામલો શેઠવડાળા પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને દિલ્હીના શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ છે.