માનવા ન આવે એવો બનાવ... માવો ખાતા જ વેપારી પ્રૌઢ ઢળી પડ્યા, હાર્ટ એટેકથી મોત

  • April 14, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. ત્યારે શહેરના બજરંગવાડી પાસેના પુનિતનગરમાં રહેતા અને રેલનગરમાં હોમ પ્રોડક્ટની દુકાન ધરાવનાર વેપારી પ્રૌઢ નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મિત્રને મળવા ગયા હતા. બાદમાં અહીં પાનની દુકાને ફાંકી ખાતાની સાથે જ વેપારી પ્રૌઢની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેમનું મોત થયું હતું. હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મોત થયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ, બજરંગવાડી પાસે પુનિતનગર-૨ માં રહેતા સુનિલભાઈ જયસુખભાઈ ત્રિવેદી (ઉ.વ 53) નામના વેપારી પ્રૌઢ રાત્રિના 09:00 વાગ્યા આસપાસ નવી કોર્ટ બિલ્ડિંગ પાસે નવા 150 ફૂટ રીંગ રોડ પર તેના મિત્ર સાથે હતા દરમિયાન તેઓ અહીં પાનની દુકાને ફાકી ખાવા માટે ગયા હતા. ફાકી ખાધા બાદ વેપારીની તબિયત લથડી હતી જેથી તુરંત તેના મિત્રએ 108 ને જાણ કરી હતી. ત્યારબાદ તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે સુનિલભાઈએ દમ તોડી દીધો હતો. બનાવવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વેપારી સુનિલભાઈ બે બહેન ત્રણ ભાઈના પરિવારમાં ત્રીજા નંબરે હતા તેમને સંતાનમાં એક પુત્રી છે. સુનિલભાઈ રેલનગર મેઈન રોડ પર હોમ પ્રોડક્ટની હરસિધ્ધિ ટ્રેડર્સ નામે દુકાન ધરાવતા હતા. ગઈકાલે તેઓ તેના મિત્ર સાથે અહીં નવા કોર્ટ બિલ્ડિંગ પાસે હતા દરમિયાન આ ઘટના બની હતી. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકથી વેપારીનું મોત થયાનું જાણવા મળ્યું છે.


અન્ય એક બનાવમાં કાલાવડ રોડ પર જીવરાજ પાર્ક પાસે સ્કાઇ લાઈફની નજીક લક્ષ્મણ ટાઉનશીપ સી- 301 માં રહેતા ભરતસિંહ બલબહાદુર સોની (ઉ.વ 51) નામના પ્રૌઢની વહેલી સવારના તબિયત બગડતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. મૂળ નેપાળના વતની અને વર્ષોથી અહીં સ્થાયી થયેલા ભરતસિંહ છ ભાઈ એક બહેનમાં વચેટ હતા તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે.પ્રૌઢ સિક્યુરિટી તરીકેનું કામ કરતા હતા.

મવડી પ્લોટમાં કારાખાનામાં બેભાન થયા બાદ પ્રૌઢનું મોત

મેટોડામાં ગેટ નંબર-૨ પાસે રહેતા નરેન્દ્રભાઈ નારણભાઈ અઘેરા(ઉ.વ 55) નામના પ્રૌઢ મવડી પ્લોટ શેરી નંબર 2/8 ના ખૂણે આવેલા કારખાને કામ કરતા હતા ત્યારે એકાએક તેમની તબિયત બગડતા બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. પ્રૌઢને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે તેઓ ત્રણ ભાઈ સાત બહેનના પરિવારમાં વચેટ હતા. હૃદયરોગના હુમલાથી તેમનું મોત થયાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News