સિટી બસકાંડ મામલે કોટેચા ચોકમાં NSUIએ બસો રોકી ચક્કાજામ કર્યો, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

  • April 17, 2025 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં સિટી બસ કાંડમાં ચાર નાગરિકોના કરૂણ મોત નિપજતા આ મામલે આજે સવારે શહેરના કાલાવડ રોડ ઉપર કોટેચા ચોકમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં વિધાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ સર્જી દેવામાં આવ્યો હતો તેમજ મહાપાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને રોડ ઉપર આળોટીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

મહાપાલિકાની સિટી બસ સેવાના મુસાફરોની કુલ સંખ્યામાં પચાસ ટકાથી વધુ મુસાફરો શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ છે ત્યારે એનએસયુઆઈએ આ બાબતને ધ્યાને લઈને ભવિષ્યમાં સિટી બસો આવા અકસ્માતો સર્જી કોઈના જીવ ન લ્યે તે માટે દરેક સિટી બસની ફિટનેસ ચેક કરવા, ડ્રાઇવરોની ફિટનેસ તેમજ હેલ્થ ચેકઅપ કરવા, તમામના આરટીઓ લાયસન્સ ચેક કરવા, ડ્રાઇવરોની ભરતી માટે યોગ્ય નિયમો ઘડવા, કોન્ટ્રાક્ટ આપવામાં ટેન્ડરમાં કથિત ગોલમાલ થયાની તપાસ કરવા અને તેમાં ભાજપના નેતાઓની ભલામણ હતી કે કેમ તેમજ જવાબદાર અધિકારીઓ અને ઇજનેરો સામે પગલા લેવા સહિતની માંગ ઉઠાવી હતી. ખાસ કરીને સિટી બસ કાંડ માં જવાબદારો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કરવા માંગણી કરી હતી.આક્રમક વિરોધ પ્રદર્શન કરી પ્લે કાર્ડ દર્શાવી રહેલા તમામ આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application