કલ્યાણપુરના યુવાનના આપઘાત પ્રકરણમાં ચાર શખ્સો સામે ફરિયાદ

  • January 30, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મરી જવા મજબૂર કરવા સબબ ગુનો નોંધાતા ચકચાર

કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે આવેલી વિસ્તારમાં રહેતા ભીમશીભાઈ નાથાભાઈ ભોચીયા નામના ૨૮ વર્ષના આહિર યુવાને થોડા દિવસ પૂર્વે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા આ પ્રકરણમાં મૃતકના મોટાભાઈ દ્વારા દુધિયા ગામે રહેતા ચાર શખ્સો સામે પોતાના ભાઈને મરી જવા માટે મજબૂત કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે આવેલી ધતુરીયા સીમ વિસ્તારમાં રહેતા અરશીભાઈ નાથાભાઈ ભોચીયા નામના ૩૦ વર્ષના આહિર યુવાન દ્વારા કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા સામત પરબત ધ્રાંગુ, હેભા પરબત ધ્રાંગુ, કારુ નગાભાઈ ધ્રાંગુ અને કિશન કારૂભાઈ ધ્રાંગુ નામના ચાર શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી અરસીભાઈના નાનાભાઈ ભીમશીભાઈએ બોરવેલના ધંધામાં આરોપી સામત પરબત તથા તેના કુટુંબી ભાઈઓ સાથે ભાગીદારીમાં આફ્રિકામાં બોરવેલનો ધંધો ચાલુ કર્યો હતો. જેમાં ભીમશીભાઈને આરોપીઓ દ્વારા ઘણા સમયથી ધંધાનો હિસાબ આપ્યો ન હતો. ભીમશીભાઈ દ્વારા અવારનવાર હિસાબ માંગવા છતાં તેઓને તેમને ધંધાનો હિસાબ ન અપાતા બનાવના દિવસે પણ મૃતક ભીમશીભાઈ દ્વારા માંગવા છતાં આરોપીઓ દ્વારા હિસાબ કિતાબ આપવામાં આવ્યો ન હતો.
જેથી માનસિક રીતે વ્યથિત હાલતમાં આ ત્રાસ તેમનાથી સહન ન થતા તેમણે પોતાના હાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે આરોપીઓએ ત્રાસ આપી, એકબીજાની મદદગારી કરી અને પોતાના ભાઈને મરી જવા માટે મજબૂર કર્યાનું અરશીભાઈ ભોચીયા દ્વારા પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૬ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
માનસિક બીમારીથી કંટાળીને જામ દેવળિયાની પરિણીતાએ જિંદગી ટૂંકાવી

કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામે રહેતી પાયલબેન વિક્રમભાઈ આંબલીયા નામની ૨૧ વર્ષની પરિણીત યુવતીએ પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને ગત તા. ૨ જાન્યુઆરીના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીને વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ અરશીભાઈ વેજાણંદભાઈ વારોતરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application