વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મહામુકાબલાના સાક્ષી બનવા માટે માત્ર ક્રિકેટ પ્રેમીઓ જ નહીં, પણ બોલિવૂડ સિતારા, બિઝનેસ ટાયકૂન્સ અને આંતરરાષ્ટ્રીય કલાકારો પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. સમગ્ર શહેર અત્યારે 'ક્રિકેટ ફીવર'માં ડૂબેલું જોવા મળી રહ્યું છે.
ગ્લેમર અને સંગીતનો તડકો: ક્લોઝિંગ સેરેમની
મેચ શરૂ થાય તે પહેલાં સ્ટેડિયમમાં એક ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રેક્ષકોના ઉત્સાહમાં વધારો કરશે.
આંતરરાષ્ટ્રીય આકર્ષણ: ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન પોતાના પાવર-પેક્ડ પરફોર્મન્સથી સ્ટેડિયમ ગજવશે.
દેશી તડકો: પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગુજરાતની શાન એવી ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક પણ પોતાના સુરો રેલાવશે. ફાઈનલ મેચ પહેલા આ સંગીતનો જલસો ક્રિકેટ ફેન્સ માટે ડબલ ટ્રીટ સમાન બની રહેશે.
સેલિબ્રિટી ગેસ્ટ લિસ્ટ: ધોનીથી લઈને જયા કિશોરી સુધી
અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલ રાતથી જ વીવીઆઈપી (VVIP) મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે.
મહેન્દ્રસિંહ ધોની: ભારતના પૂર્વ કેપ્ટન 'કેપ્ટન કૂલ' ગત રાત્રે જ અમદાવાદ પહોંચ્યા છે, જેમને જોવા માટે એરપોર્ટ પર ફેન્સની ભીડ ઉમટી હતી.
બોલિવૂડ: અભિનેતા જોન અબ્રાહમ એક દિવસ અગાઉ જ અમદાવાદ આવી ગયા છે અને તેઓ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરશે.
અન્ય મહાનુભાવો: પ્રખ્યાત કથાકાર જયા કિશોરી પણ મેચ નિહાળવા માટે આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા છે. આ ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ પણ આ મેચમાં ઉપસ્થિત રહેશે.
પોલીસની લાલ આંખ: ટિકિટ બ્લેક કરનારા 4 શખ્સોની ધરપકડ
એક તરફ મેચનો ઉત્સાહ છે, તો બીજી તરફ ટિકિટની ભારે ખેંચતાણનો ફાયદો ઉઠાવનારા તત્વો પર પોલીસે ત્રાટકી છે. એલિસબ્રિજ પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે અને 12 ટિકિટો જપ્ત કરી છે.
કેસ 1: કિશોરમલ સુરાના અને નીલ મજમુદાર ₹4,000ની ટિકિટ ₹10,000માં વેચતા રંગેહાથ ઝડપાયા હતા. તેમની પાસેથી 10 ટિકિટ મળી આવી છે.
કેસ 2: કરણસિંહ ગોહિલ અને ધર્મિલ પટવા નામના બે શખ્સો ₹2,000ની ટિકિટ ₹10,000માં બ્લેક કરતા પકડાયા છે. તેમની પાસેથી 2 ટિકિટ જપ્ત કરાઈ છે.
હાઉસફૂલ સ્ટેડિયમ અને સુરક્ષા
1.30 લાખની ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ખીચોખીચ ભરાઈ જવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના આકાશમાં આજે માત્ર ભારતની જીતના નારા જ ગુંજશે તેવો આશાવાદ ક્રિકેટ રસીકો વ્યક્ત કરી રહ્યા છે.