વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ, ગુજરાતી સંગઠનો તેમજ ગુજરાત સરકાર વચ્ચે સેતુરૂપ એવી સર્વે ગુજરાતીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાની એકમાત્ર અધિકૃત સંસ્થા 'વિશ્વ ગુજરાતી સમાજ'ની મહાસમિતિની કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે બેઠક મળી હતી. સંસ્થાની મહાસમિતિ દ્વારા સર્વાનુમતે ભાવેશ લાખાણીની નિયુક્તિ થતા તેઓએ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળી લીધો છે.
મહેન્દ્રભાઈ શાહના પ્રમુખપદે બેઠકનું આયોજન
સામાજિક સેવા ક્ષેત્રે અગ્રણી એવા મહેન્દ્રભાઈ શાહના પ્રમુખપદે યોજાયેલી મહાસમિતિની બેઠકમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખની નિયુક્તિ માટે ભાવેશ લાખાણીના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને વજુભાઈ પરસાણા, બિપિનભાઈ સોની, મનીષભાઈ શર્મા તથા મહાસમિતિના ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું અને સૌ સભ્યોએ ઉમળકાભેર તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા.
ભાવેશ લાખાણી સફળ બિઝનેસમેન
ભાવેશ લાખાણી સફળ બિઝનેસમેન હોવા ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ છે. કોર્પોરેટ જગતમાં જાણીતા એવા ભાવેશ લાખાણી ગુજરાત ભારતીય જનતા પક્ષના કારોબારી સભ્ય અને શહેરની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબના ડિરેક્ટર પણ છે. તેઓ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અને પૂર્વ મંત્રી સ્વ. શશીકાંતભાઈ લાખાણીના પુત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૨૪ની યોજાયેલી સંસ્થાના પ્રમુખપદ માટેની ચૂંટણી અને તેના પરિણામો બાદ આગેવાનો વચ્ચે સર્જાયેલા મતભેદો બાદ વર્ષ-૨૦૨૫ દરમિયાન સંસ્થાનું કામકાજ કાયદાકીય સ્તરે અટવાયેલું રહ્યું હતું, પરંતુ વર્ષ-૨૦૨૬ના આગમને સંસ્થાના મુખ્ય સંવર્ધક અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લાગણીને માન આપીને આગેવાનોએ સુમેળભર્યા વાતાવરણમાં મતભેદોનો સકારાત્મક ઉકેલ લાવી દીધો હતો. મહેન્દ્રભાઈએ તે બાબતે સભ્યોને વિગતો જણાવી હતી.
પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ પટેલે ભાવેશ લાખાણીને આવકારી સન્માન કર્યું
ત્યારબાદ મહેન્દ્રભાઈ તથા વિશ્વ ગુજરાતી સમાજના પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ પટેલે ભાવેશ લાખાણીને આવકારી સન્માન કર્યું હતું. સંસ્થાને બીજમાંથી વટવૃક્ષ બનાવવામાં જેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે અને સૌજન્ય, શિષ્ટાચાર અને સમર્પણમાં સદા મોખરે એવા વિદાય લઈ રહેલા પૂર્વ પ્રમુખો ગોરધનભાઈ પટેલે રૂબરૂ તેમજ સી. કે. પટેલે અમેરિકાથી ભાવેશ લાખાણીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના અગ્રણી પદ્મશ્રી ડૉ. વિષ્ણુભાઈ પંડ્યાએ પોતાનો રાજીપો વ્યક્ત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આપણા લક્ષ્યાંકો પરિપૂર્ણ કરીને સંકલ્પો સિદ્ધ કરીશુંઃ ભાવેશ લાખાણી
વિશ્વ ગુજરાતી સમાજનું નેતૃત્વ સંભાળતા પ્રતિભાવ સ્વરૂપે ભાવેશ લાખાણીએ તેઓમાં વિશ્વાસ મૂકવા બદલ મુખ્ય સંવર્ધક તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સૌ આગેવાનો અને સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે સંસ્થાના સભ્યોને ત્વરિત અમલમાં મૂકવા જેવા તથા લાંબા ગાળાની યોજનાનો આછો ખ્યાલ આપીને કહ્યું હતું કે, આપણે સહુ સાથે મળીને સામુહિક પ્રયત્નો દ્વારા આપણા લક્ષ્યાંકો પરિપૂર્ણ કરીને સંકલ્પો સિદ્ધ કરીશું.
ભાવેશ લાખાણીએ સૌનો આભાર માન્યો
આ બેઠકમાં સંસ્થાના અગ્રણી આગેવાનો, મહાસમિતિના સભ્યો અને અગ્રણી આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. ભારતમાંથી જુદા જુદા ગુજરાતી સમાજ અને અગ્રણી આગેવાનોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થતા ભાવેશ લાખાણીએ સૌનો આભાર માન્યો હતો. બેઠકની શરૂઆતમાં મંગલદીપ પ્રાગટ્ય, વંદે માતરમ્ રાષ્ટ્રગીત તથા વિશ્વ ગુજરાતી સમાજની પરંપરા પ્રમાણે જય જય ગરવી ગુજરાતના સમૂહગાન બાદ ગુજરાતી સંકલ્પ પત્રનું વાંચન થયું હતું. કુસુમબેન વ્યાસ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના દિવંગત સભ્યોની નામાવલીનું જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે વાંચન કરી શ્રદ્ધાંજલિ અર્પવા વિનંતી કરતા સભ્યોએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડૉ. પંકજ શાહે ગત મહાસમિતિની મિનિટ્સ રજૂ કરી, જેને બેઠકના સભ્યો દ્વારા બહાલ રખાઈ હતી. બિંદુબેન ઠક્કરે આભારવિધિ કરી હતી. બેઠકનું સંચાલન સુધીર એસ. રાવલે કર્યું હતું. સામૂહિક રાષ્ટ્રગાન બાદ બેઠકનું સમાપન થયું હતું.