આ પહેલા કોન્ટ્રાક્ટર કામ અધુરૂ મૂકીને જતો રહ્યો હતોઃ
દ્વારકા જિલ્લાના ઐતિહાસિક સ્થળ શનિદેવ હાથલાના વિકાસ માટે ૭.૧૦ કરોડના ખર્ચે આયોજન થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલામાં આવેલ શનિદેવના જન્મસ્થાન ઐતિહાસિક મંદિરના વિકાસ માટે ઘણાં વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયા પછી કોન્ટ્રાક્ટર કામ મૂકીને જતો રહેતા પેન્ડીંગ સ્થિતિમાં હતું તે કામ રાજ્યમંત્રી તથા ખંભાળિયા-ભાણવડના ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયત્નોથી પાછું શરૂ થયું છે.
દ્વારકા જિલ્લા પી.ડબલ્યુ.ડી.ના કાર્યપાલક ઈજનેર યુ.બી. ચૌધરીએ જણાવેલ કે દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલાના શનિદેવ મંદિરના વિકાસ માટે કુલ ૭.૧૦ કરોડના ખર્ચે આયોજન થયું છે.
શનિદેવ મંદિરના સ્થળે પાઈપ વર્ક, શેડ વર્ક, બોક્સ વર્ક, પિચીંગ વર્ક વિગેરે કામો માટે રૂા. ૩,૩૧,૬પ,૦૦૦ ની રકમ ફાળવાઈ છે તથા પાર્કિંગ, કમ્પાઉન્ડ વોલ તથા ટોયલેટ બ્લોક વિગેરે સવલતો માટે રૂા. ૩,૭૮,૭૮,૦૦૦ ની રકમ મળીને ૭.૧૦ કરોડ ઉપરાંતની રકમ ફાળવાઈ છે તથા તેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, સમગ્ર ભારતમાં શનિદેવનું જન્મ સ્થાન ભાણવડના હાથલામાં છે તથા સમગ્ર ભારતમાં સાડાસાતી તથા અઢી વર્ષની પનોતીદેવીના મંદિર પ્રતિમા પણ અહીં જ આવેલી છે તથા શનિ જયંતીના પનોતી રૂપે પગરખાનો એટલો ઢગલો થાય કે ટ્રેક્ટર ભરાય છે તેવી આ જગ્યામાં વિકાસ ના હોય શનિ અમાસ કે શનિ જયંતીના લાખો લોકો અહીં ઉમટે છે.