બેટ-દ્વારકાની ફિશીંગ બોટને પાકિસ્તાની સિકયુરીટીએ મારી ટકકર

  • March 27, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરીયામાં બોટ ડુબી: પાણીમાં ગરક થયેલ બે પૈકી એકની લાશ મળી : પાંચ ક્રુ મેમ્બરોના અપહરણ : એજન્સીઓ દ્વારા કરાતી તપાસ

બેટ-દ્વારકાની માછીમારી બોટ દરીયામાં ફીશીંગ કરતી હતી ત્યારે પાકિસ્તાની મરીન સિકયુરીટી દ્વારા આ બોટનો પીછો કરી ટકકર મારતા બોટ ડુબી ગઇ હતી તેમા રહેલા સાત મેમ્બરો પૈકી પાંચને ઉપાડી ગઇ હતી અને બે માછીમારો પાણીમાં ગરક થયા હતા જે પૈકી એકનો મૃતદેહ મળી આવતા આજે દ્વારકા ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યો છે, અન્ય એક ખલાશીની શોધખોળ ચલાવવામા આવી રહી છે આ અંગે ઓખા મત્સ્ય ઉધોગ કચેરીને બોટવાળા દ્વારા રજુઆત કરવામાં આવી છે. દરમ્યાન આ મામલે એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બેટમાં રહેતા પાંજરી ઇરફાન અલાના દ્વારા મત્સ્ય ઉધોગ અધિક્ષક ઓખાને એક રજુઆત કરવામાં આવી છે, જે મુજબ માછીમારી બોટ અલહુશેની અકસ્માતે તુટી જતા તમામ સાત ખલાસીઓ લાપતા બન્યા છે, આ રજુઆત ગત તા. ૨૧-૩-૨૪ના સમય દરમ્યાન કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ છે કે, મારી માલિકીની માછીમારી અલહુશેની બોટ ગત તા. ૧૫-૩-૨૪ના રોજ અંદાજે સવારે ૭ વાગ્યે માછીમારી કરવા નીકળ્યા હતા જેમાં અંગારીયા સતાર ઓસમાણ, રહે.બેટ, ઉ.વ.૩૭,  બોલીમ ઇસા હાસમ, રહે.બેટ, ઉ.વ.૫૫, ભોલીમ અબ્દુલકરીમ સાધદોક, રહે.બેટ, ઉ.વ.૧૭, સુમણીયા ઇજાજ મુસ્તુફા, રહે.ઓખા, ઉ.વ.-૩૮, પાંજરી હુસેન અલાના, રહે.બેટ, ઉ.વ-૧૭, સુંભણીયા મોહમધ્તોફીક એલિયાસ, રહે.બેટ, ઉ.વ.૧૯, પાંજરી સાયર મામદ, રહે.બેટ, ઉ.વ.૧૯ નામના સાત ખલાશીઓ સાથે હતા.
દરીયામાં માછીમારી બોટ ફીશીંગ કરતી અન્ય માછીમારી બોટના ખલાશીઓ દ્વારા જણાવાયુ કે મારી બોટને અકસ્માત થયેલ હોય અને કાટમાળ તથા ઝાળ દરીયામાં જખોથી અંદાજે ૧૨ નોટીકલ માઇલ વિખરાયેલ હોવાની જાણ થયેલ છે. ૭ પૈકીના કોઇ ખલાશીનો પતો લાગેલ નથી, પાંજરી હુશેન અલાના મારો નાનો ભાઇ છે, જે સગીર હોવા છતા ગેરકાયદે ઓનલાઇન ટોકન એપ્લીકેશનમાં ૧૮ વર્ષ દર્શાવી માછીમારી માટે મોકલેલ છે જે હું કબુલું છું, જયારે ખલાશી ભોલીમ અબ્દુલ કરીમ પણ સગીર હોય જેને પણ ૨૦ વર્ષનું ટોકન એપ્લીકેશનમાં બતાવી મોકલેલ છે. બોટમાંથી લાપતા બનેલ ખલાશીઓની શોધખોળની કામગીરી અંગે મદદરુપ થવા અરજ કરવામાં આવી છે.
દરમ્યાનમાં એવી વિગતો જાણવા મળી છે કે, બેટ દ્વારકાની બોટ દરીયામાં ફીશીંગ કરતી હતી ત્યારે ઇન્ટરનેશનલ બોર્ડર પર ચાલી જતા દરીયામાં રહેલ પાકિસ્તાની મરીન સિકયુરીટીની બોટે ઓખા વિસ્તારની બોટનો પીછો કર્યો હતો અને મધદરીયે જ આ બોટને ટકકર મારી દેતા તેમા રહેલા ખલાશીઓ સહિતની બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. અને સાત ક્રુ મેમ્બરો પૈકી બે ખલાશી પાણીમાં ગરક થઇ ગયા હતા અને પાંચ માછીમારોને પાકિસ્તાની સિકયુરીટી અપહરણ કરી ગઇ હોય એવી વિગતો સામે આવી છે.
દરમ્યાન પાણીમાં ગરક થયેલા બે માછીમાર પૈકી એક પાંજરી સાયર મામદભાઇ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને આજે દ્વારકા ખાતે પીએમ સહિતની વિધી કરવામાં આવશે, બીજી બાજુ આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવામાં આવી છે અને તપાસ માટે માંગણી કરી છે આથી આ ઘટના સબંધે એજન્સીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.  બીજી બાજુ પાકિસ્તાન મેરીટાઇમ સિકયુરીટી એજન્સી દ્વારા પણ આ અંગે સાઇટ પર મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે જેમાં કેટલીક વિગતો ટાંકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application