બાંગ્લાદેશના નેશનલ સિટીઝન પાર્ટીના નેતા હસનત અબ્દુલ્લાએ ખુલ્લેઆમ ભારતને તોડવાની ધમકી આપી છે. શેખ હસીના વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનના મુખ્ય શિલ્પકારોમાંના એક અબ્દુલ્લાએ ખુલ્લેઆમ ભારતને તોડવાની ધમકી આપી છે. અબ્દુલ્લાએ સોમવારે એક રેલીમાં પોતાના ઘૃણાસ્પદ ઇરાદા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભારતના ઉત્તરપૂર્વીય ભાગને અલગ કરી દેશે, જેને સેવન સિસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. શહીદ મિનાર ખાતે આયોજિત સર્વપક્ષીય વિરોધ રેલી દરમિયાન, અબ્દુલ્લાએ કહ્યું કે બાંગ્લાદેશને અસ્થિર કરવાનો કોઈપણ પ્રયાસ ભારતથી સેવન સિસ્ટર્સ ને અલગ કરીને કરવામાં આવશે.
આ રેલીનું આયોજન ઇન્કલાબ મંચ દ્વારા તેના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીની હત્યાના પ્રયાસના જવાબમાં કરવામાં આવ્યું હતું. ગયા શુક્રવારે અજાણ્યા હુમલાખોરોએ હાદીને ગોળી મારી હતી. તેમને ગંભીર હાલતમાં સિંગાપોર ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ અંગે કોઈ અપડેટ નથી. હસનત અબ્દુલ્લાએ નામ લીધા વિના રેલીમાં આરોપ લગાવ્યો કે કેટલાક વ્યક્તિઓ સરહદ પારથી આશ્રય અને સમર્થન આપીને બાંગ્લાદેશમાં અસ્થિરતા પેદા કરવા અને ચૂંટણી પ્રક્રિયાને વિક્ષેપિત કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.
ભારત સામે આરોપ
ભારત વિરોધી વાણી માટે કુખ્યાત હસનત અબ્દુલ્લાએ દાવો કર્યો હતો કે ઉસ્માન હાદી પરના હુમલામાં સામેલ લોકોને ભારત તરફથી સમર્થન મળી રહ્યું છે. તેમણે ભારતીય અધિકારીઓ પર બાંગ્લાદેશી નાગરિકોની સરહદ પારથી હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો. અબ્દુલ્લાએ કહ્યું, "હું ભારતને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જો તે બાંગ્લાદેશની સાર્વભૌમત્વ, ક્ષમતાઓ, મતદાન અધિકારો અને માનવ અધિકારોનો આદર ન કરતી શક્તિઓને આશ્રય આપે છે, તો બાંગ્લાદેશ જવાબ આપશે." તેમણે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશને અસ્થિર કરવાના ગંભીર પરિણામો આવશે, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં અશાંતિ ફેલાશે.
તો વિરોધની આગ સરહદો પાર ફેલાશે, અબ્દુલ્લાનો બેફામ વાણી વિલાસ
હસનત અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે "જો બાંગ્લાદેશ અસ્થિર બનશે, તો વિરોધની આગ સરહદો પાર ફેલાશે." એનસીપીના દક્ષિણ ક્ષેત્રના મુખ્ય સંયોજક અબ્દુલ્લાએ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. અબ્દુલ્લાએ પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા કે ભારત બાંગ્લાદેશ વિરુદ્ધ કામ કરતી શક્તિઓને શસ્ત્રો, ભંડોળ અને તાલીમ આપીને સમર્થન આપી રહ્યું છે. તેમણે યુનુસ સરકારને ભારત વિરુદ્ધ સ્પષ્ટ વલણ અપનાવવાની પણ માંગ કરી, એમ કહીને કે તેને હવે ફક્ત એક પાડોશી દેશ તરીકે ગણવું જોઈએ નહીં.
ભારત શેખ હસીનાને આશ્રય આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી સંબંધ સામાન્ય નહી
રાષ્ટ્રીય નાગરિક પાર્ટીના ઉત્તરીય ક્ષેત્રના મુખ્ય સંયોજક સરજીસ આલમે પણ ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા,આલમે કહ્યું કે જ્યાં સુધી ભારત શેખ હસીનાને આશ્રય આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો સામાન્ય થઈ શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જો બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચાયુક્ત નવી દિલ્હી સુધી બાંગ્લાદેશી લોકોની માંગણીઓ પહોંચાડવામાં નિષ્ફળ જશે, તો તેની હાજરી અર્થહીન રહેશે.