આ તારીખ સુધી અધિકારીઓ- કર્મચારીઓની બદલી- રજા પર પ્રતિબંધ

  • May 30, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આગામી તારીખ 27 જૂન સુધી ચૂંટણીવાળા જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તથા રજા પર રાજ્ય ચૂંટણી આયોગે પ્રતિબંધ ફરમાવ્યો છે.

રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી તારીખ 28 મે ના જાહેર કરવામાં આવી છે અને ત્યારથી જ આ આચાર સહિતા લાગુ પડી ગઈ છે, ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એટલે કે 27 જૂન સુધી આ આચાર સંહિતા અમલમાં રહેશે.

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી.બ્રહ્મભટ્ટે આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને જણાવ્યું છે કે ચૂંટણી હેઠળના જિલ્લાઓમાં રાજ્ય સરકારના જુદા જુદા ખાતાના વડાઓએ આ ચૂંટણી દરમિયાન તાકીદના તબીબી કારણો સિવાય પોતાના તાબાના ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની રજા મંજૂર કરવાની રહેશે નહીં અને બદલી પણ કરી શકાશે નહીં.

જયા સુધી ચૂંટણીની આચાર સહિતા અમલમાં હશે ત્યાં સુધી સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં, મતદારો પ્રભાવિત થાય તેવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં અને વચનો આપી શકાશે નહીં. કોઈ પણ રૂપમાં કોઈ પણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકાશે નહીં, વિવેકાધીન ફંડમાંથી ચુકવણી મંજૂર કરી શકાશે નહીં.

8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની છે તેમાં 4,688 ગ્રામ પંચાયતો એવી છે કે ત્યાં સામાન્ય, વિભાજન અને મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જ્યારે 3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીઓ યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application