ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ, અલ્પેશ કથીરિયાએ કહ્યું- ગોંડલ મિર્ઝાપુર છે, રહી વરરાજાની વાત તો અમારે જે બનવું હશે એ બનીશું

  • April 27, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. જેને લઇને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવીયા આજે ગોંડલની મુલાકાત આવ્યા હતા. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ હતી. આ દરમિયાન બન્નેના સમર્થકોના વિરોધથી તંગદીલી ફેલાઈ હતી. અલ્પેશ કથીરિયાના સમર્થનમાં ગોંડલમાં કાર લઈને આવેલા એક સમર્થકે પૂરઝડપે કાર ચલાવી ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર ચાલક યુવકની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.​​​​​​​


અમારી ઉપર હુમલો કરનાર લુખ્ખા અને અસામાજિક લોકો સામે પોલીસ કાર્યવાહી કરે

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આજે જે હુમલો થયો તેનાથી સાબિત થાય છે કે, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલ એ કોઈની જાગીર નથી, અમે અવારનવાર આવીશું. અમારી ઉપર હુમલો કરનાર લુખ્ખા અને અસામાજિક લોકો સામે પોલીસ કાર્યવાહી કરે.


અમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી

વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઉમેદવારી બનવાની, વરરાજા બનવાની કે અણવર બનવાની કોઈ વાત નથી. જે અમારે બનવું હશે એ અમે બનીશું. એમના સર્ટિફિકેટની અમારે કોઈ જરૂર નથી. જે વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતા એ એમને ચૂંટણી લડવા માટેનું માર્ગદર્શન શું આપશે. અમારે જ્યાંથી માર્ગદર્શન લેવાનું છે, જેમના આશીર્વાદ લેવાના છે એ અમે લઈ લઈશું, એમને મળી લેશું. અમારી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. 


આગળના દિવસોમાં રણનીતિ નક્કી કરીશું

વધુમાં જણાવ્યું હતું કે, ગોંડલમાં જે જે જગ્યા પર ગયા એમાં અનેક જગ્યાઓ પર એમના ભાડુઆતી માણસો દ્વારા વિરોધ કરવાવાળાઓએ કાળા વાવટા ફરકાવી, અમારી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે. છથી સાત જેટલી ગાડીના કાચ ફોડ્યા છે, હુમલો કર્યો છે. તો એના પરથી સાબિત થાય છે કે, ખરેખર ગોંડલ એ મિર્ઝાપુર છે. આવનારા દિવસોમાં અહીંના લોકો, અહીંની ટીમ, બીજા સમાજના લોકો આમ દરેક લોકો સાથે મળીશું. અમને માહિતીઓ મળી રહી છે કે, અહીંયા આ રીતના પ્રશ્ન બની રહ્યા છે. અમે માહિતી ભેગી કરશું અને ટીમ સાથે ચર્ચા કરી આગળના દિવસોમાં રણનીતિ નક્કી કરીશું.


ગોંડલએ કોઈની જાગીર નથી

વધુમાં જણાવ્યું હતું કે, સમયાંતરે બધા લોકો ગોંડલની મુલાકાત લેતા રહેશે. કેમ કે, આજથી જ સાબિત થઈ ગયું છે કે, ગોંડલએ કોઈની જાગીર નથી, કોઈના બાપ દાદાની પેઢી નથી, 1947માં જ્યારે મુક્ત થયું ત્યારથી એમાં લોકશાહી છે. લોકશાહીના ભાગરૂપે દરેક લોકો ગોંડલમાં આવતા રહેશે અને લોકોને મળતા રહેશે. અમે આખો દિવસ ગોંડલમાં રહીશું પરંતુ, તેઓ સવાર 10 વાગે આવ્યા અને સાડા અગિયાર વાગ્યે ગોંડલથી રવાના થઈ ગયા હતા. આ દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application