કોર્પોરેશનમાં માર્ચ એન્ડીંગમાં ફરીથી અધિકારીઓને રાજકીય અગ્રણીઓ દ્વારા ધમકી અપાતી હોવાની રાવ

  • March 27, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક પૂર્વ નગરસેવકે અધિકારીને ખોટા કામમાં સહિ નહીં કરે તો જોઇ લઇશ તેવી ધમકી આપતા અધિકારીઓમાં નારાજગી: પોલીસ ફરીયાદ કરાશે કે કેમ ? અધિકારીઓમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકા અવારનવાર વિવાદોમાં ફસાય છે, થોડા દિવસ પહેલા એસ્ટેટ વિભાગના એક અધિકારીને પાડતોડ બાદ ધમકી આપ્યાની સાહી હજુ સુકાઇ નથી, આ અધિકારીઓ ડરના માર્યા પોલીસ ફરિયાદ પણ કરી નથી, ત્યાં બે દિવસ પહેલા એક પૂર્વ નગરસેવકે એક અન્ય અધિકારીને બેફામ ગાળો બોલી ધમકી આપ્યાની વાતો બહાર આવતા કોર્પોરેશનમાં ભારે ચર્ચા શરુ થઇ છે, આ રાજકીય અગ્રણીએ એમ પણ કહ્યું હતું કે જો મારા ખોટા કામમાં સહી નહીં કરો તો તમને જોઇ લઇશ, જો કે આ મામલે હવે મ્યુ.કમિશ્નરે વચ્ચે આવીને રાજકીય લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવીને એક દાખલો બેસાડવો જોઇએ તેવી ચર્ચા થઇ રહી છે.
કોર્પોરેશનમાં થોડા દિવસ પહેલા એક પાડતોડ બાદ એસ્ટેટ શાખાના અધિકારીને જાહેરમાં બેફામ ગાળો ભાંડીને માર મારવાની ધમકી આપી હતી, પરંતુ આ અધિકારીએ ડરના માર્યા પોલીસ ફરિયાદ નોંધાવી નથી, જો કે આ મામલે મ્યુ.કમિશ્નરને પણ વાતચીત કરવામાં આવી હતી, બે મહીના પહેલા એક કદાવર નગરસેવકે પણ એક અધિકારીને બીલ પાસ કરવાના મામલે સરાજાહેર ધમકી આપી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે ત્યારે અહીં પ્રશ્ર્ન એ થાય છે કે, શા માટે કોર્પોરેશન વતી અધિકારી અને મ્યુ.કમિશ્નર જિલ્લા પોલીસ વડાને મળીને આવા બ્લેકમેલર અને ધમકી આપનારા સામે ફરિયાદ નોંધવતા નથી ?
એવી પણ ચર્ચા થઇ રહી છે, ભૂગર્ભ ગટર, ટીપીઓ, સિવીલ અને એસ્ટેટ શાખાના કેટલાક અધિકારીઓને અવારનવાર દબાવીને અમુક રાજકીય અગ્રણીઓ યેનકેન પ્રકારે ખોટા કામો કરવા દબાણ કરે છે અને રુપિયા પણ માંગતા હોવાની વાતો બહાર આવી રહી છે, બે દિવસ પહેલા અવારનવાર ચર્ચામાં રહેલા એક પૂર્વ નગરસેવકે એક અધિકારીને તેની ચેમ્બરમાં જઇને ગાળાગાળી કરી અને પોતાનું કામ કરી દેવા જણાવ્યું હતું, ત્યારબાદ આ અધિકારીએ કહ્યું હતું કે નિયમ મુજબ આ પ્રકારના કામો થઇ શકે નહીં, આ અધિકારીને બેફામ ગાળો આપીને જોઇ લેવાની ધમકી આપી હતી. આ પૂર્વ નગરસેવકને એક રાજકીય અગ્રણીઓનું પીઠબળ હોવાથી અધિકારીઓ પણ બોલતા નથી, થોડા સમય પહેલા એક અધિકારીને માર મારવામાં આવ્યો હતો, પાછળથી સંકેલીને સમાધાન કરવામાં આવ્યું હતું.
કોર્પોરેશનમાં અધિકારીઓનું એક યુનિયન પણ છે, અવારનવાર મળતી ધમકી અપાતી હોવાના કારણે મોરલ તુટી જાય છે ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ કરીને દાખલો બેસાડવો જોઇએ અને બે માસના ગાળામાં બે-ત્રણ અધિકારીઓને ધમકી મળી છે તેવી માંગ પણ ઉઠવા પામી છે. છેલ્લા બે દિવસથી કોર્પોરેશનમાં આ મુદો ભારે ચર્ચાઇ રહ્યો છે, જો કે આ મામલે હજુ કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ થઇ નથી, છેલ્લા બે બનાવ અંગે મ્યુ.કમિશ્નરને પણ જાણ કરવામાં આવી છે, જો આગામી દિવસોમાં સતાવાર ફરિયાદ કરવામાં આવે તો આ બધુ થઇ શકે.
એક એવી વાત પણ બહાર આવી છે કે, કેટલાક મહીલા નગરસેવિકાઓના પતિઓ પણ દંબગાઇ કરીને કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને દબળાવે છે, એટલું જ નહીં કોર્પોરેટરના દાખલાઓમાં પણ આ પતિદેવો જ સહી કરે છે, કામ બાકી રહેલા રજૂઆત કરવાની તેમની ફરજ છે, પરંતુ અવારનવાર આ રીતે અધિકારીઓને પરેશાન કરીને પોતાના કામો કરાવવા ધાક-ધમકી આપતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે ત્યારે આગામી દિવસોમાં મ્યુ.કમિશ્નરે દાખલો બેસાડવા માટે પોલીસ ફરિયાદ કરશે કે કેમ ? તે પ્રશ્ર્ન પણ ચર્ચાઇ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application