જામનગરમાં એક ડઝનથી વધુ સ્થળે અર્વાચીન દાંડીયા રાસ

  • September 24, 2024 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રંગતાળી ગ્રુપનું સહીયર નવરાત્રી મહોત્સવ, ઉત્સવ નવલી નવરાત્રી, રોક એન્ડ રોલ્સ ઉપરાંત સેવન સિઝન, કેશવારાસ, જેસીઆર સહિતના જુદા-જુદા સ્થળોએ રાસની રમઝટ બોલશે, એકાદ સ્થળે ઓરકેસ્ટ્રા સિવાય મોટાભાગના સ્થળોએ ડીજે અને કરાઓકે: પટેલ સમાજ સહિતના અન્ય સમાજના આયોજનોનો પણ સમાવેશ


યુવા પેઢી જેનો વર્ષ આખો ઇન્તેજાર કરે છે તે નોરતાના દિવસો નજીક આવી રહ્યા છે, આમ તો ૩જી ઓકટોબરે પ્રથમ નોરતુ છે જો કે આ પહેલા જ નવરાત્રી વેલકમ સહિતના કાર્યક્રમો શ‚ થઇ જવાના છે અને આ વખતે શહેર તથા શહેરની આસપાસ એક ડઝનથી વધુ સ્થળે અર્વાચીન દાંડીયા રાસના આયોજનો થવાના છે અને ૯ દિવસ સુધી રાસની રમઝટ બોલવાની છે, મહત્વની વાત એ છે કે, અમુક સ્થળને બાદ કરતા મોટાભાગના સ્થળોએ અર્બન નવરાત્રીના આયોજનો થવાના છે, યુવાનો-યુવતિઓ દ્વારા નવરાત્રીના ઉત્સવને મનભરીને માણવા તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે.

એક તરફ જામનગરમાં ૩૦૦ થી ૪૦૦ સ્થળોએ પ્રાચીન ગરબીઓના આયોજન થાય છે અને આ ગરબીઓનું મહત્વ એટલું જ જળવાયેલું છે, કારણ કે પ્રાચીન ગરબીઓમાં ખુબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહે છે, તો બીજી તરફ અર્વાચીન દાંડીયા રાસના થતાં આયોજનમાં પણ ખાસ કરીને રાસના રસીયાઓ સતત ૯ દિવસ સુધી રાસની રમઝટ બોલાવે છે.

સંખ્યાબંધ આયોજનો આ વખતે થઇ રહ્યા છે જે પૈકીના અહીંના એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે પ્રતિવર્ષની જેમ રંગતાળી ગ્રુપ દ્વારા સહીયર નવરાત્રીનું આયોજન સંજયભાઇ જાની અને એમની ટીમ દ્વારા કરવામાં આવશે, દરવર્ષે એમના દ્વારા સફળ આયોજન કરવામાં આવે છે.

ઉત્સવ નવલી નવરાત્રી ગ્રુપ દ્વારા આ વખતે આર્શીવાદ રિસોર્ટ કલબ ખાતે ઓરકેસ્ટ્રા અને અન્ય આકર્ષણો સાથે આયોજન કરવામાં આવ્યું છે, આનંદ માડમ અને એમની ટીમ દ્વારા થતાં આ આયોજનમાં ઓરકેસ્ટ્રાની સાથે-સાથે ડીજેનો પણ આસ્વાદ ખેલૈયાઓને ચાખવા મળે છે.

ટવીન ટર્ફ ક્રિકેટ બોકસમાં રોક એન્ડ રોલ ગ્રુપ દ્વારા અર્બન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેશવારાસની સામે આ આયોજન કરાયું છે.

આ ઉપરાંત સેવન સિઝન રિસોર્ટ, કેશવારાસ, જેસીઆર ઉપરાંત અન્ય સ્થળોએ પણ આયોજનો કરવામાં આવ્યા છે અને જાણવા મળ્યા મુજબ મોટાભાગના સ્થળોએ અર્બન નવરાત્રીના આયોજનો થઇ રહ્યા છે. આટલું જ નહીં બોકસમાં ક્રિકેટનો જે ક્રેઝ ચાલ્યો છે એ બોકસમાં પણ આ વખતે નવરાત્રીનું આયોજન થવાનું છે, આ ઉપરાંત પટેલ સમાજ દ્વારા પણ પ્રતિવર્ષ સમાજના લોકો માટે નવરાત્રીનું આયોજન થાય છે.

હવે નવલા નોરતાની આડે ગણતરીના દિવસો રહ્યા હોવાથી મોટાભાગના આયોજકો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જુદા-જુદા સ્થળોએ થનારા આયોજનોના બેનરો પણ લાગી ગયા છે, આટલું જ નહીં ઓરકેસ્ટ્રા, ડીજે, સીકયુરીટી, લાઇટ ડેકોરેશન વગેરેની તમામ વ્યવસ્થા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

પ્રતિવર્ષ યુવાનો-યુવતિઓમાં ટ્રેડીશ્નલ પરીધાનનો પણ અનોખો ક્રેઝ રહે છે, માટે નવા-નવા વસ્ત્રો અને પહેા નોરતાથી લઇને નવમા નોરતા સુધી કેવા વસ્ત્રો પહેરવા એ માટેની તૈયારીઓ પણ યુવા ધન દ્વારા કરી લેવામાં આવી છે.

રાજકોટમાં ગેમઝોન કાંડ બન્યા બાદ તંત્ર દ્વારા આ વખતે નવરાત્રીના આયોજનો માટે કેટલાક નવા નીયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં ફાયર એનઓસી, સીસી ટીવી કેમેરા અને ફુડ ઝોન માટે વિશેષ તકેદારીઓ રાખવાની સુચનાઓ આપવામાં આવી છે અને તે અંતર્ગત જ તમામ સ્થળોએ આયોજકો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે.

નવરાત્રીના દિવસોમાં વાસ્તવમાં રાતના ૯ વાગ્યા પછી જાણે દિવસ ઉગતો હોય એવી સ્થિતિ સર્જાય છે અને મોડી રાત સુધી યુવા ધન રાસની રમઝટ બોલાવે છે માટે પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા માટે એકશન પ્લાન બનાવી લેવામાં આવ્યો છે, આ વખતે વરસાદનું વિઘ્ન કદાચ નહીં નડે, આમ છતાં જો મોસમમાં બદલાવ આવે તો પણ શું તકેદારી રાખવી તેની પણ તૈયારીઓ આયોજકો કરી રહ્યા છે. આમ, હંમેશની જેમ નવરાત્રીને મન ભરીને માણી લેવા યુવા ધનમાં થનગનાટ છે અને એવું લાગે છે કદાચ આ વખતે અર્બન નવરાત્રીના વધુ પડતા આયોજનો થવાના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application