અરવલ્લી-મોડાસા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મહત્વપૂર્ણ કામગીરી કરી ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુન્હાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના સૂચના અનુસાર મિલકત સંબંધિત ગુન્હાઓની તપાસ માટે LCB દ્વારા પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી હતી.
LCB પો. ઇન્સ. એચ.પી. ગરાસિયાની આગેવાની હેઠળ પો. સબ. ઇન્સ. સી.એમ. રાઠોડ, વી.જે. તોમર અને ટીમના માણસોએ અંગત બાતમીદારો અને ખાનગી વોચના આધારે આ ગુન્હામાં સંડોવાયેલા કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ગુરુચરણસિંહ ઉર્ફે અમિત સરદારજી (વડોદરા જિ.), કિશનકુમાર ઉર્ફે સુનિલ પરમાર (વડોદરા જિ., મૂળ પાલનપુર જિ.) અને રાજાસિંહ મંચીસિંહ સરદારજી (હિંમતનગર જિ.)નો સમાવેશ થાય છે. આ પૈકી ગુરુચરણસિંહ અન્ય બે ચોરીના ગુન્હામાં પણ બોટાદ જિલ્લામાં વોન્ટેડ છે.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોનાના દાગીના જેનું કુલ વજન ૬૧.૪૩૦ ગ્રામ અને કિંમત ₹ ૬,૪૧,૦૦૦/- છે, તે ઉપરાંત મોટરસાયકલ (કિ.રૂ. ૨૦,૦૦૦/-) મળીને કુલ ₹ ૬,૮૧,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધનસુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. LCBની આ સફળતાથી જિલ્લામાં મિલકત સંબંધિત ગુન્હા આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.