ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન આર્મી / એરફોર્સ / નેવી / અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક / માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતગર્ત ચાલુ વર્ષે યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.
આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી-દેવભૂમિ દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ, ૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા.૨૦-૦૯-૨૦૨૫ સુધીમાં સ્વખર્ચે પોતાની સંમતી આપી જવા જણાવવામાં આવેલ હતું, જે તા.૨૦/૧૨/૨૦૨૫ સુધી લંબાવવામાં આવેલ છે.
આ તાલીમવર્ગ ખંભાળીયા ખાતે નિ:શુલ્ક યોજવામાં આવશે. રહેવા-જમવાનો ખર્ચ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવશે. આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે. તાલીમમાં જોડાવવા માટે શૈક્ષણિક લાયકાત ધો-૧૦માં ૪૫% સાથે અથવા ધો.૧૨ માં ૫૦% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસનો રહેશે.
ઉમેદવારની શારીરિક યોગ્યતા માપદંડ ઉંચાઈ- ૧૬૨ સે.મી., વજન-૫૦ કિલોગ્રામ અને છાતી ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. છે. આ તાલીમ વર્ગમાં શારીરિક યોગ્યતા તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વગેરેની ભરતીને અનુરૂપ ફિઝીકલ તાલીમ આપવામાં આવશે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરેલ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.