સીએમના હસ્તે થયેલ ડ્રોમાં આવાસ મેળવનાર અરજદારો ફોર્મમાં કાગળોની પુર્તતા કરી શકશે

  • May 08, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં તા.૨૬ માર્ચના રોજ રાજકોટ આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયેલા ડ્રોમાં આવાસ મેળવનાર લાભાર્થીઓને જો તેમના અરજી ફોર્મ માં કોઈ જરૂરી આધાર પુરાવા કે દસ્તાવેજો જોડવાના બાકી રહી ગયા હશે તો તેઓ તેમના અરજી ફોર્મ સાથે કાગડોની પૂર્તતા કરી શકશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત આજે મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ કમિશનર દ્વારા કરવામાં આવી હતી.

રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સોગંદનામું તથા જરૂરી આધાર-પુરાવા સાથે તારીખ:૨૩-૦૫-૨૦૨૫ સુધીમાં આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકશે

વિશેષમાં આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા તા.૨૬-૩-૨૦૨૫ના રોજ EWS-2 કેટેગરીના ૧૩૩ અને MIG કેટેગરીના ૫૦ ખાલી પડેલ આવાસોનો જાહેર કોમ્પ્યુટરાઇઝ ડ્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ. અત્યાર સુધી ફોર્મ ચેકીંગ બાદ આવાસનો ડ્રો કરવામાં આવતો હતો જયારે આ વખતે પ્રથમ વખત બધા જ અરજદારોનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ફોર્મ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. આથી ડ્રો માં આવાસ લાગેલ હોય એવા અરજદારોની ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે ફોર્મ અરજી રિજેકટ ના થઈ જાય એ માટે માનવતાના ધોરણે અરજદારોને એક તક આપવામાં આવે છે. અપુરતા આધાર-પુરાવાઓની પુર્તતા કરવા માંગતા હોય એવા અરજદારો રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સોગંદનામું તથા જરૂરી આધાર-પુરાવા સાથે તારીખ:૨૩-૫-૨૦૨૫ સાંજે ૫-૦૦ વાગ્યા સુધીમાં આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકશે.

ડ્રોમાં આવાસ લાગેલ હોય એવા તમામ અરજદારો તા.૯-૫-૨૦૨૫ના બપોરે ૧.૦૦ વાગ્યેથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in ઉપર પોતાની અરજીની સ્થિતિ જાણી શકશે અને જો કોઈ વાંધા–સુચનો હોય તો આવાસ યોજના વહીવટી વિભાગમાં રૂબરૂમાં રજુઆત કરી શકશે. તા. ૨૩-૫-૨૦૨૫ના સાંજના પાંચ વાગ્યા બાદ કરવામાં આવેલ કોઈપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. ઉકત બાબતે રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી તથા બંધનકર્તા રહેશે.

વધુમાં જણાવ્યું હતું કે, ફોર્મની ચકાસણીમાં જે અરજીઓમાં તમામ આધાર-પુરાવાઓ મળી આવ્યા છે, એવા અરજદારોને દિનાંક ૧૯/૦૫/૨૦૨૫થી સિવિક સેન્ટર, સેન્ટ્ર્લ ઝોન ઓફીસ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પ્રથમ હપ્તો ભરપાઈ કર્યે અલોટમેન્ટ લેટર આપવાની કામગીરી કરવામાં આવશે.

ડ્રોમાં વેઇટીંગ યાદીમાં આવેલ જે અરજદારો પોતાની ડિપોઝીટ પરત લેવા માંગતા હોય એમણે પોતાની પાત્રતા રદ કરવાની બાંહેધરી આપી www.rmc.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અગાઉ અરજી કરેલ હોય એવા અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application