અમદાવાદના જાણિતા ઉદ્યોગપતિ અને આ વર્ષે જ પદ્મવિભૂષણની સિદ્ધિ પ્રાપ્ત કરનાર પંકજભાઈ પટેલના પ્રેરણાદાયી જીવન પર બોલીવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને એક્ટર અનુપમ ખેર બાયોપિક બનાવશે. આ બોયપિકમાં અનુપમ ખેર ખુદ પંકભાઈ પટેલનો રોલ અદા કરશે. પંકજભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિની સાથે સાથે દાનવીર, ફાર્માસ્યુટિકલ, શિક્ષણ, વ્યાપાર જગત અને આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક યોગદાન આપનાર તરીકે પણ ઓળખ ધરાવે છે.
પંકજભાઈ પટેલના અભિવાદન સમારોહમાં જાહેરાત
ઝાયડસ કોર્પોરેટ હાઉસ ખાતે યોજાયેલા પંકજભાઈ પટેલના અભિવાદન સમારોહમાં અનુપમ ખેરે પંકજભાઈ સાથે એમના જીવન કવન, સંઘર્ષ, ચડતી પડતી તથા પારિવારિક બાબતો અંગે રસપ્રદ વાત કરી હતી. તેના ભાગરૂપે તેમણે એક અંગત સવાલ પૂછતાં કહ્યું હતું કે, 'પંકજભાઈ, આપનું જીવન અત્યંત પ્રેરણાદાયક છે અને અત્યારે ઘણા બધા મહાનુભાવો પર બોલિવૂડમાં બાયોપિક બને છે ત્યારે તમને નથી લાગતું કે, તમારા વ્યક્તિત્વ, વ્યક્તિપ્રતિભા અને તમે જીવનમાં હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રેરક વાતો અને પ્રસંગોને વણી લઈને એક સુંદર બાયોપિક બનવી જોઈએ?' તેમના આ પ્રશ્ન બલ્કે પ્રસ્તાવને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
મારી ટાલ જોઈને ટેન્શન રાખતા નહીં
પંકજભાઈએ અત્યંત વિનમ્રતાપૂર્વક કહ્યું હતું કે, આ બાબતે મેં કાંઈ ખાસ વિચાર્યું નથી. પરંતુ જો મારા જીવનમાંથી કોઈને પ્રેરણા મળતી હોય તો મને એ બાબતે વાંધો નથી. આ તબક્કે અનુપમ ખેરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મારી ટાલ જોઈને ટેન્શન રાખતા નહીં. હું તમારા ચહેરાને અનુરૂપ સરસ વિગ બનાવીશ. તમારું કેરેક્ટર હું જ નિભાવીશ. આ સાથે જ તેમણે સકારાત્મક માહોલને જોઈને વાત પાક્કી સમજું એવો ઈશારો કરતાં પંકજભાઈને પૂછ્યું હતું કે, તમારા ખિસ્સામાં 500ની નોટ છે? સ્ટેજ પર બેઠેલા પંકજભાઈ પાકિટમાંથી 500ની નોટ શોધે કે પરિવારના સભ્યો પાસેથી લે એ પહેલાં જ અનુપમ ખેરે પોતાના ખિસ્સામાંથી 500ની નોટ કાઢીને પોતાનો મોબાઈલ ઓડિયન્સના એક દર્શકને આપીને વિનંતી કરતાં કહ્યું હતું કે, આ મોમેન્ટને હું પણ તસવીરમાં મઢી લેવા માંગું છું એમ કહી તેમણે જાહેરમાં કહ્યું હતું કે, મેં અત્યારસુધી 543 ફિલ્મો બનાવી છે, અથવા તો કામ કર્યું છે, પરંતુ આ મારી 544મી ફિલ્મ હશે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વાતને વધાવી લઈ પંકજભાઈના પ્રેરણાદાયક જીવનને સન્માનવા સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
પંકજભાઈએ નીતિમત્તા, મૂલ્યનિષ્ઠ વ્યાપારના ગુણો પોતાના પિતા પાસેથી આત્મસાત કર્યા
પંકજભાઈએ આ અગાઉ અનુપમ ખેર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ નીતિમત્તા, મૂલ્યનિષ્ઠ વ્યાપારના સિદ્ધાંતને વરેલા છે અને તેમણે આ ગુણો પોતાના પિતા પાસેથી આત્મસાત કર્યા છે. તેમણે કહ્યું હતું કે ફાર્મસી ઉદ્યોગની વાત કરું તો પશ્ચિમના દેશોએ ભારતને અને દુનિયાના વિકાસશીલ અને અવિકસિત દેશોને ઘણુંબધું પ્રદાન કર્યું છે. જેના કારણે આજે આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. આવનારા દિવસોમાં 2027 પહેલાં હવે આપણી ફરજ છે કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોએ વિશ્વને કમ સે કમ 100 જેટલી દવાઓની ભેટ આપવી જોઈએ.
પંકજભાઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે
બહુમુખી પ્રતિભા ધરાવતા પંકજભાઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જેવી સંસ્થાઓને નેતૃત્વ પ્રદાન કરી ચૂક્યા છે. એટલું જ નહિ, આઈઆઈએમ, ઉદેપુરના ચેરમેન પદે રહી ચૂક્યા છે. હાલ આઈઆઈએમ અમદાવાદના ચેરમેન છે. ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે.
ઝાયડસ કંપનીમાં 27000થી વધુ કર્મચારીઓ દેશવિદેશમાં કામ કરે છે
ગુજરાત કેન્સર સોસાયટીનું સુપેરે સુકાન સંભાળે છે. એટલું જ નહીં, અમદાવાદમાં મલ્ટીસ્પેશિયાલિસ્ટ ઝાયડસ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમણે ઊભું કર્યું છે. સાથોસાથ ઝાયડસ સ્કૂલ સહિત અનેક શૈક્ષણિક પ્રવૃત્તિ પણ તેમની સંસ્થા દ્વારા થાય છે. સાથોસાથ આદિવાસી વિસ્તારમાં 1200 બેડની હોસ્પિટલમાં દરરોજ 2000થી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. અંદાજે 25થી 30 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઝાયડસ કંપનીમાં 27000થી વધુ કર્મચારીઓ દેશવિદેશમાં કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech