૧.૮૦ લાખ પણ ગુમાવ્યા : રાજકોટની યુવતી બે દિવસ રોકાઇને પલાયન : લુટેરી દુલ્હન, જામનગરના મેંરેજ બ્યુરો સંચાલિકા અને રાજકોટના વચેટીયા સહિત ૬ સામે છેતરપિંડીની ફરિયાદ
જામનગર સહિત રાજયમાં લુંટેરી દુલ્હન કિસ્સા દિન પ્રતિદિન વધી રહયા છે, તાજેતરમાં જ જામનગરમાં એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં લુંટેરી દુલ્હન અને વચેટીયાઓની ધરપકડ કરવામાં આવી હતી દરમ્યાન જામનગરનો વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે, અને ૧.૮૦ લાખનો ચુનો લાગ્યો છે, લુટેરી દુલ્હન બે દિવસના રોકાણ બાદ પલાયન થઇ ગઇ છે. આથી લૂંટેરી દુલ્હન અને લગ્ન કરાવનાર જામનગરના મેરેજ બ્યુરો સંચાલીકા મહિલા તેમજ રાજકોટના વચેટિયાઓ સહિત કુલ છ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૯-એ, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતા અને દવાની કંપનીમાં કામ કરતા જીગ્નેશભાઈ ગુણવંતરાય ખેતિયા નામના ૪૬ વર્ષના વિપ્ર યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરી રૂપિયા ૧ લાખ ૮૦ હજાર પડાવી લેવા અંગે રાજકોટની લૂંટેલી દુલ્હન નૂરી તેમજ જામનગરના મેરેજ બ્યુરો સંચાલક મહિલા મીતાબેન ખેતિયા, ઉપરાંત રાજકોટના વચેટિયા મુકેશ ભીખા મકવાણા, સબીરભાઈ નાગોરી, અને લૂંટેરી દુલ્હનના ભાઈ અને ભાભી સહિત ૬ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ સીટી-બી ડીવીઝનમાં નોંધાવી છે.
ફરિયાદી જીગ્નેશભાઈ ખેતીયાએ લગ્ન કરવા હોય જેથી જામનગરમાં મધુરમ રેસીડેન્સીમાં રહેતા મીતાબેન ખેતિયાનો સંપર્ક કર્યો હતો, અને રાજકોટની નુરી નામની યુવતી કે જે પોતે પંજાબી છે તેવી ઓળખાણ આપીને તેની સાથે ૧.૮૦ લાખમાં સોદો કરીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
મીતાબેને રાજકોટના મુકેશભાઇ ભીખાભાઈ મકવાણા, સબીરભાઈ નાગોરી વગેરે ના સંપર્કથી નૂરી સાથે લગ્ન નું ગોઠવ્યું હતું, અને એકબીજાની પસંદગી કરવામાં આવી હતી. જેમાં નૂરીબેન ના ભાઈ ભાભી પણ જોડાયા હતા.
ગત ૨૫.૫.૨૦૨૫ ના સાંજે તમામ લોકો રાજકોટ થી જામનગર આવ્યા હતા, અને જીગ્નેશભાઈ સાથે નુંરી ના રજીસ્ટર મેરેજ કરાવી આપ્યા હતા, ઉપરાંત મંદિરમાં પણ લગ્ન વિધિ સંપન્ન કરી હતી, અને ૧.૮૦ લાખ ના ભાગ પાડી લીધા હતા. જેમાં મીતાબેનને ૨૦,૦૦૦ મળ્યા હતા ઉપરાંત મુકેશભાઈએ ૧,૨૦,૦૦૦ રાખ્યા હતા બાકીની રકમ નુરી તથા તેના ભાઈ ભાભીને આપી દેવાઇ હતી. દરમ્યાનમાં ફરીયાદી સાથે લગ્ન કરવાના બહાને એકબીજાએ મદદગારી કરી છેતરપીંડી આચરી હતી.
વધુમાં સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ નુરી બેન જામનગરમાં પત્ની તરીકે બે દિવસ રોકાયા બાદ અને પોતે પરણીત છે અને અહીં નથી રહેવું, તેવા નાટક કરી આખરે મરી જવાનો ડર બતાવી રાજકોટ ચાલી ગઈ હતી.
જીગ્નેશભાઈ એ પોતાને લગ્ન કરાવી દેનાર મીતાબેન ઉપરાંત રાજકોટના મુકેશ મકવાણા અને સબીરભાઈ નાગોરી વગેરેનો સંપર્ક કર્યો હતો. જેમાં નુરીએ અને તેના ભાઈ ભાભી સહિતના લોકોએ રૂપિયા પરત આપવાનો ઇનકાર કરી દેતા, રૂપિયા આપવા માટે રકઝક થતી હતી દરમિયાન એક ચેક અપાયો હતો.
જે ચેક બેંકમાં નહીં નાખવા માટે પણ ઉપરોક્ત તમામ દ્વારા ધમકીઓ અપાઈ હતી, અને આખરે ગઈકાલે જીગ્નેશભાઈ પોતાની સાથે છેતરપિંડીથી લગ્ન કરવા અંગે રાજકોટની લૂંટેરી દુલ્હન નૂરી તથા જામનગરના મિતાબેન ખેતીયા વગેરે સહિત છ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પી એસ આઈ જે પી સોઢા અને રાઈટર રાણાભાઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે અને તપાસનો દૂર રાજકોટ સુધી લંબાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક યુવાનની સાથે લુંટેરી દુલ્હન અને વચેટીયાઓએ ખેલ પાડયો હતો જેમાં મામલો પોલીસમાં પહોચતા સીટી-એ પોલીસ દ્વારા વચેટીયાઓની અટકાયત કરી હતી. અને એ પછી લુંટેરી દુલ્હન એવી યુવતિની પણ અટકાયત કરીને જેલમાં મોકલી આપી હતી. અત્રે નોંધનીય છે કે જામનગર સહિત રાજયમાં લુંટેરી દુલ્હનના કિસ્સાઓ વધી રહયા છે અને યેનકેન પ્રકારે પૈસા પડાવી અને ટોળકી દ્વારા કારસ્તાન પાર પાડવામાં આવતુ હોય છે ખાસ કરીને એક કે બે દિવસ રોકાયા બાદ દુલ્હન દ્વારા બહાનાબાજી કરીને નાશી જતી હોય છે માટે આ પ્રકારના કિસ્સાઓ ઘણી વખત લાલબત્તીપ સાબીત થતા હોય છે. આથી આંધળુકીયો વિશ્ર્વાસ ઘણી વખત વિશ્ર્વાસઘાત સુધી પહોચતો હોય છે. ઉપરોકત ફરીયાદમાં આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.