ગણેશ મહોત્સવ દરમ્યાન પ્રદુષણ ફેલાતું અટકાવવા જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

  • September 07, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી ગણેશજીની મુર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુકત રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં


જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નિમિતે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે. મુર્તિની સ્થાપના બાદ ધાર્મિક રીત રિવાજ મુજબ તેનું નદી કે તળાવના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. મુર્તિઓની બનાવટમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મુર્તિઓનું નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીજન્ય જીવો, પશુઓ તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ, રાજ્ય સરકાર તેમજ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈનને ધ્યાને લઈ તહેવારની ઉજવણી દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ગણેશજીની મુર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપી) તેમજ કેમિકલયુક્ત રંગોને કારણે પાણીજન્ય જીવો, પશુઓ તેમજ માનવજીવનને થતા નુકશાનને અટકાવવા શ્રી ભાવેશ એન.ખેર અધિક જિલ્લા મેજિસ્ટ્રટે, જામનગર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. 

જે અનુસાર સાવચેતીના પગલા રૂપે નીચેના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

૧. શ્રી ગણેશજીની મુર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુકત રંગોનો ઉપયોગ કરવો નહીં.૨. મુર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવા નહી.૩. ગણેશજીની મુર્તિઓના સ્થાપના દિવસ બાદ મુર્તિકારો વધેલી તથા ખંડિત મુર્તિઓને બિનવારસી હાલતમાં મુકી શકશે નહીં.૪. સક્ષમ સ્થાનિક સતામંડળએ મુર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ મુર્તિ વિસર્જન કરવું નહી તેમજ મુર્તિ વિસર્જન માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને હાઈકોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મુર્તિ વિસર્જન થઈ શકશે નહી.૫. મુર્તીઓ વિસર્જન સમયે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મુર્તિ વિસર્જન થઈ શકશે નહી તેમજ પુજન વિધિ કરી નદીઓ/તળાવ/સમુદ્રના કિનારે રાખવી કે પધરાવવી નહી તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહી. ૬.મુર્તિકારો જે જગ્યાએ મુર્તિ બનાવે છે. તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુ ગંદકી કરવી નહી. તે અંગે સંબંધિત નગરપાલિકા તથા સક્ષમ સતાધિકારીએ તકેદારી રાખવી. જામનગર જિલ્લા બહારથી મુર્તિઓ લાવી વેચનાર મુર્તિકારો/વેપારીઓને પણ આ નિયમ લાગુ પડશે.૭. આયોજકોએ બેઠકની ઉચાઈ સહિત ૧૨ (બાર) ફુટથી વધારે ઉચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહી, તેમજ વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ ૧૫ (પંદર) ફુટથી વધારે રાખવી નહી. આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા (૪૫ મો અધિનિયમ) ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application