દક્ષિણ અમેરિકાના દેશ કોલમ્બિયાની મેગ્ડાલિયાના નદી ખીણમાં હિપ્પોપોટેમસની વધતી જતી વસ્તી સ્થાનિક પર્યાવરણ અને લોકો માટે જોખમરૂપ બની છે. હાલમાં ત્યાં આશરે 200 જેટલા હિપ્પોપોટેમસ છે. આ પ્રાણીઓનો કોઈ કુદરતી શિકારી ન હોવાથી તેમની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે સરકારે 80 હિપ્પોપોટેમસને મારી નાખવાની મંજૂરી આપી છે.
અનંત અંબાણીની ભાવુક અપીલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને 'વનતારા'ના સ્થાપક અનંત અંબાણીએ આ નિર્ણય પર ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કોલમ્બિયાના પર્યાવરણ મંત્રી ઇરેન વેલેઝ ટોરેસને પત્ર લખીને આ જીવોની જિંદગી બક્ષવાની અપીલ કરી છે. અંબાણીએ પત્રમાં જણાવ્યું છે કે, દરેક જીવની કિંમત હોય છે અને જો આપણી પાસે તેમને બચાવવાનો વિકલ્પ હોય, તો આપણે ચોક્કસપણે પ્રયાસ કરવો જોઈએ.
જામનગરમાં વૈજ્ઞાનિક પુનર્વસનનો પ્રસ્તાવ
અનંત અંબાણીએ કોલમ્બિયા સરકાર સમક્ષ એક વિસ્તૃત યોજના રજૂ કરી છે. જેમાં વનતારાની નિષ્ણાત ટીમ આ હિપ્પોપોટેમસને અત્યાધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ભારત લાવવા તૈયાર છે. જામનગર સ્થિત વનતારામાં હિપ્પોપોટેમસ માટે તેમના મૂળ આવાસ જેવું જ વાતાવરણ અને આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ પશુ-ચિકિત્સકોની અનુભવી ટીમ અને બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ દ્વારા તેમની લાંબા ગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
વનતારાની વૈશ્વિક ભૂમિકા
ગુજરાતના જામનગરમાં આવેલું 'વનતારા' વિશ્વના સૌથી મોટા વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્રોમાંનું એક છે. અહીં હાથી, વાઘ, સિંહ અને અન્ય અનેક લુપ્તપ્રાય પ્રજાતિઓને નવું જીવન આપવામાં આવે છે. આ સંસ્થાએ અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય રેસ્ક્યૂ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
કોલમ્બિયા સરકાર માટે મોટો નિર્ણય
આ હિપ્પોપોટેમસ 1980ના દાયકામાં કોલમ્બિયા લાવવામાં આવ્યા હતા અને હવે તે ત્યાંના ઇકોસિસ્ટમ માટે માથાનો દુખાવો બન્યા છે. અનંત અંબાણીએ વિનંતી કરી છે કે જ્યાં સુધી વનતારાના પ્રસ્તાવ પર કોઈ આખરી નિર્ણય ન લેવાય, ત્યાં સુધી પ્રાણીઓને મારવાની પ્રક્રિયા રોકી દેવામાં આવે.
જો કોલમ્બિયા સરકાર આ પ્રસ્તાવ સ્વીકારશે, તો તે વિશ્વભરમાં વન્યજીવ સંરક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના બનશે અને સાબિત કરશે કે વિજ્ઞાન અને માનવતાના સમન્વયથી જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે.