પ્રિ-લિટીગેશન લોક અદાલતમાં ચાલુ માસમાં ચાર કેસમાં સુખદ સમાધાન

  • July 13, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લામાં "ઉજાસ - એક આશાની કિરણ" પહેલ હેઠળ કાર્યક્રમ: આ લોક અદાલતમાં બંને પક્ષના વિવાદો સમજાવટથી હલ કરી સુખદ સમાધાન અને નિરાકરણ લાવે છે...


પ્રિ-લીટીગેશન લોક અદાલત માં બન્ને પક્ષકારોના વિવાદ સમજી સમજાવટના માધ્યમથી સુ:ખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ડી.એલ.એસ.એ. દ્વારા ચાર દંપતિનું નાની-મોટી તકરારમાં વૈવાહિક જીવન તૂટતાં બચાવી ખુશી લાવવાનો સફળ પ્રયાસ કરાયો હતો.


ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ  સુનિતા અગ્રવાલ દ્વારા તા.૧૯/૦૪/૨૦૨૪ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં વૈવાહિક વિવાદોના ત્વરિત, ખર્ચ રહીત નિવારણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલતની રાજ્યના જિલ્લા મથકે શરૂઆત કરવામાં આવી છે. જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડી.એલ.એસ.એ. દેવભૂમિ દ્વારકાના ચેરમેન  એસ.વી.વ્યાસના માર્ગદર્શન હેઠળ આ પ્રિ-લિટીગેશન લોક અદાલતની ખંભાળિયા ખાતે શરૂઆત કરવામાં આવી છે.


આજના ઝડપી યુગમાં સંબધો જેટલી ઝડપથી બંધાય છે એટલી ઝડપથી તૂટે પણ છે. માણસમાં કાં તો પહેલા જેવી ધીરજ રહી નથી અને કાં તો સહનશક્તિ ખૂટી ગઈ છે. દંપતીને નજીવી તકરારોમાં તકલીફ પડે તો પણ એકબીજાથી છૂટા થઈ જવાની ઉતાવળ હોય છે.


આ સમયમાં દંપતીને યોગ્ય રીતે કાયદાકીય રીતે ન્યાયાધીશ કક્ષાના અધિકારી તથા ટ્રેઈન્ડ મીડિયેટર દ્વારા સમજાવવામાં આવે તો તૂટવાના આરે આવી ગયેલા સંબધો પણ ફરીથી નવપલ્લીત થતાં હોય છે.


જુલાઈ - ૨૦૨૪ માસમાં આવી વૈવાહિક  જુદી જુદી તકરોરો જેવી કે દંપતિ દ્વારા એક બીજા પર શંકા-કુશંકા કરવી, સામાજિક  માનસિક ત્રાસ આપવો, ભરણ પોષણની રકમ અંગેના વિવાદ બાબતના કેસો ખંભાળિયા ખાતે ચાલતી " ઉજાસ - એક આશાની કિરણ" પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા જેમાં પક્ષકારોને નોટિસ કરી લોક અદાલતની બેન્ચ સમક્ષ બોલવામાં આવ્યા હતા.


જેમાં મેમ્બર્સ તરીકે સેવા આપતા  એમ.આર.શુક્લા, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચેરમેન, તાલુકા કાનૂની સેવા સમિતિ - ખંભાળિયા અને તાલીમબધ્ધ મિડિયેટર  કીર્તિદાબેન ઉપાધ્યાય, પી.એલ.વી. દ્વારા તથા ડી. એલ.એસ.એ. કચેરીને હકારાત્મક અપ્રોચથી વિવાદ ગ્રસ્ત દંપતિનું વારાફરતી તથા સયુંકત કાઉન્સિલગ કરી કુલ ચાર દંપતિને સમાધાન માટે તૈયાર કર્યા જેથી જુલાઈ માસના ફક્ત ૧૦ જ દિવસમાં ચાર કેસમાં સુખદ સમાધાન થયા છે.


પ્રિ-લિટીગેશન લોક અદાલત દ્વારા પક્ષકારોને તકરાર અંગે કાનૂની કાર્યવાહી કરતાં પહેલાં શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવાનો પ્રયાસ કરે છે.  સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતા જાળવવામાં આવે છે, અને કોઈપણ પક્ષની સંવેદનશીલ માહિતી જાહેર કરવા દબાણ કરવામાં આવતું નથી. જેથી દંપતીની વૈવાહિક તકરાર આગળ વધે અને મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા સજાવટના માધ્યમથી વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, અભયમ મહિલા હેલ્પલાઇન-૧૮૧, વન સ્ટોપ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશનને ખાસ કહેવામાં આવ્યું છે કે જે કેસ સમાધાન લાયક હોય તેમાં ગુન્હો નોંધતા પહેલા અરજી પ્રિ -લિટીગેશન લોક અદાલતમાં મોકલવાની રહેશે.


પ્રિ -લિટીગેશન લોક અદાલત અંગેની સફળતાની માહિતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકાના સચિવે વૈવાહિક વિવાદ સંદર્ભની અરજીમાં શું ધ્યાન રાખવું...? તે અંગે જણાવ્યું હતું કે, અરજીમાં અરજદાર તથા સામાવાળાની નામ, સરનામું અને સંપર્ક નંબર દર્શાવવાનો રહેશે તે સાથે વિવાદની પ્રકાર, વિવાદ કેટલા સમયથી ચાલે છે તેની વિગત ઉપરાંત પોલીસ, કોર્ટ કે અન્ય જગ્યાએ કરેલી ફરિયાદની વિગત દર્શાવવાની રહેશે. ત્યારબાદ અરજી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, ખંભાળિયા ખાતે મોકલવાની રહેશે.


તેમજ લોક અદાલતના લાભોમાં સમગ્ર પ્રક્રિયા તદ્દન મફત રહેશે, લગ્ન જીવનની તકરારોનો સરળ અને ઝડપી ઉકેલ આવશે, નાણાં અને સમયનો બચાવ થશે, તકરારનું કાયમી, અસરકારક અને સર્વ માન્ય સમાધાન થશે, તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application