અંબર ચોકડીનો રસ્તો શુક્રવારથી શરુ થવાની પુરી સંભાવના

  • January 03, 2024 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંબર ચોકડીનો રસ્તો બંધ થવાના કારણે શહેરના તમામ માર્ગો પર ટ્રાફીકમાં ફસાતા લોકો માટે આનંદના સમાચાર: ‘આજકાલ’ દ્વારા રિયાલીટી ચેક: ૯૫ ટકા કામ પૂર્ણ થઇ ગયું: આજ રાતથી ડામર રોડ બનવાનું શરુ થશે: શુક્રવારથી માર્ગ શરુ થઇ જશે-રાજીવ જાની

તા. ૧૮/૧૨ના રોજથી અંબર ચોકડીનો માર્ગ બંધ થતાની સાથે જ શહેરીજનો માટે ટ્રાફિકની સમસ્યા એક આફત સમાન બની હતી ત્યારે ખુબ આનંદના સમાચાર છે કે અંબર ચોકડી ખાતે થઇ રહેલું કામ ૯૫ ટકા પુર્ણ થઇ ગયું છે, આજ રાતથી ડામર રોડ બનવાનું પણ શરુ થઇ જશે અને મહાનગરપાલીકાના પ્રોજેકટ પ્લાનીંગ શાખાના નાયબ ઇજનેરના જણાવ્યા મુજબ શુક્રવારથી માર્ગ શરુ થઇ જશે, આ બાબત ખુબ જ રાહતરુપ છે અને ટ્રાફિકથી પિડાતા લોકો માટે રાહત આપનારી છે, અત્રે નોંધનીય છે કે, આ માર્ગ છેલ્લા ૧૯ દિવસથી બંધ હોવાના કારણે ગુરુદ્વારા સર્કલ, સાત રસ્તા સર્કલ, અંબર ચોકડીથી ગુરુદ્વારા તરફના માર્ગ અને આ વિસ્તારની તમામ ગલીઓમાં ચકકાજામ જેવી સ્થીતી સર્જાતી હતી, હવે રાહતનો દ્વાર ખુબ નજીકના દિવસોમાં ખુલવાની આશા ઉજજવળ થઇ છે.
તા. ૧૮થી મ્યુ. કમિશ્નર બી.એન. મોદીએ જાહેરનામુ બહાર પાડીને અંબર ચોકડીવાળો રસ્તો બંધ કરી દીધો હતો, ત્યારબાદ મુશ્કેલી પણ વધી હતી પરંતુ અધિકારીઓએ રાત દિવસ સતત કામ ચાલુ રાખીને સમયમર્યાદા પહેલા આ કામ પુરુ કરી દેવાની જાહેરાત કરી છે, આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં પ્રોજેકટ પ્લાનીંગ વિભાગના વડા રાજીવ જાનીએ જણાવ્યુ હતું કે ૯૫ ટકા કામ પુરુ થઇ ગયું છે આજ રાત્રીથી ડામરનું કામ શરુ થઇ જશે જે કામ ગુરુવારના મોડી રાત સુધી ચાલશે એટલે કે શુક્રવાર તા. ૫ થી આ રસ્તો ખુલ્લો થઇ જશે.
આ રસ્તાનું કામ ઝડપથી થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે, યુઘ્ધના ધોરણે કામ ચાલી રહયું છે, ટ્રાફિકનો ભારે ઉહાપોહ થવાથી સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, તેમજ મેયર વિનોદભાઇ ખીમસુર્યા, ચેરમેન નિલેશભાઇ કગથરા સહિતના પદાધીકારીઓએ થતા કામની મુલાકાત લીધી હતી અને જરુરી કામ તાત્કાલીક અસરથી પુરુ કરવા સીટી ઇજનેર ભાવેશ જાની સાથે વાતચીત પણ કરી હતી. જયારે સાંસદની મુલાકાત વખતે મ્યુ. કમિશ્નર દિનેશ મોદી, જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના હાજર રહયા હતા.
આ રસ્તો બંધ થયા બાદ કેનાલનું કામ, પીજીવીસીએલના વાયર બદલવાનું કમ તેમજ ટેલીફોનના વાયર બદલવાનુ કામ યુઘ્ધના ધોરણે કરવામાં આવ્યુ હતું જયારથી રસ્તો બંધ કરાયો ત્યારથી સવારના ૧૦ થી બપોરના ૧ અને સાંજના ૪ થી રાત્રીના ૮ સુધી આ વિસ્તારનો ટ્રાફિક ચકકાજામ જેવી થઇ હતી, ૨૫ થી ૩૦ મિનીટ સુધી વાહનચાલકોને લાઇનમાં ઉભુ રહેવુ પડતું હતું આખરે હવે બે દિવસ બાદ રસ્તો ખુલી જવાનો હોય લોકોને મુશ્કેલીમાં પણ ઘટાડો થશે.
જામનગરનો ઓવરબ્રીજ બની રહયો છે ત્યારે હજુ પણ એકાદ વખત જયારે સ્લેબ ભરાય ત્યારે રસ્તો બંધ કરવાની કોર્પોરેશનને ફરજ પડશે પરંતુ હાલ તો નિયમ સમયમર્યાદામાં ઓરવબ્રીજનું કામ ઝડપથી ચાલી રહયું છે તે પુરુ થઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application