૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદથી ઉડાન ભર્યા પછી તુરંત જ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે દાવાની પતાવટની સમગ્ર પ્રક્રિયા હવે તપાસ હેઠળ છે. આ દુર્ઘટનામાં ૨૬૦ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેમની લંડન સ્થિત પુત્રી રાધિકા મિશ્રાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે એર ઇન્ડિયા સત્તાવાર તપાસ પૂર્ણ થાય તે પહેલાં પરિવારોને "પૂર્ણ અને અંતિમ સમાધાન" પર સહી કરવા માટે કેમ દબાણ કરી રહી છે.
વિજય રૂપાણીની પુત્રીનો એરલાઇન પર આરોપ
ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પુત્રી રાધિકા મિશ્રાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને પૂછ્યું છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં પરિવારો પર અંતિમ સમાધાન પર સહી કરવા માટે કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે. રાધિકાએ આરોપ લગાવ્યો છે કે સમાધાન દસ્તાવેજ એર ઇન્ડિયા તેમજ બોઇંગ, GE, સફ્રાન, હનીવેલ અને સરકારી એજન્સીઓને પણ જવાબદારીમાંથી મુક્ત કરે છે, જોકે અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે નક્કી થયું નથી.
એર ઇન્ડિયાનો ખુલાસો
રાધિકા મિશ્રાના આરોપો અંગે એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ પરિવાર કે વ્યક્તિ પર નિર્ધારિત સમયમર્યાદામાં ઓફર સ્વીકારવા માટે દબાણ કરવામાં આવી રહ્યું નથી. જે પરિવારો AAIB તપાસ રિપોર્ટની રાહ જોવા માંગે છે તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. અંતિમ વળતર પ્રક્રિયા ઓક્ટોબર 2025માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે મોટાભાગની વચગાળાની ચુકવણી પૂર્ણ થઈ ગઈ હતી. એરલાઇને અકસ્માતના બે મહિના પછી રૂ.25 લાખની વચગાળાની સહાય પૂરી પાડવાનું શરૂ કર્યું હતું, જે અંતિમ વળતરમાં સમાયોજિત કરવામાં આવશે.
RDI દસ્તાવેજ પર સ્પષ્ટતા
રસીદ, ડિસ્ચાર્જ અને ઇન્ડેમ્નિટી (RDI) દસ્તાવેજની ભાષા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અંગે, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ભાષા આંતરરાષ્ટ્રીય સ્તરે અને ભારતમાં સામાન્ય એરલાઇન પ્રક્રિયાઓ સાથે સુસંગત છે. તેનો હેતુ તૃતીય પક્ષો (જેમ કે વિમાન ઉત્પાદકો) ને જવાબદારીથી બચાવવાનો નથી, પરંતુ ખાતરી કરવાનો છે કે અંતિમ સમાધાન થઈ ગયા પછી એર ઇન્ડિયા વધુ દાવાઓને પાત્ર ન બને.