હત્યાના કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ દોઢ વર્ષથી ફરાર કેદી ઝડપાયો

  • March 29, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હત્યાના કેસમાં આજીવન કેદની સજા પડ્યા બાદ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર જેલમુક્ત થતાં જેતપુરનો શખસ છેલ્લા દોઢ વર્ષથી નાસ્તો ફરતો હતો.રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આ કેદીને જેતપુરથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા જિલ્લા પોલીસને ગંભીર ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા તથા તેમની ટીમ રાત્રીના પેટ્રોલિંગમાં હતી. તેવામાં હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા અને હરેશભાઈ પરમારને એવી બાતમી મળી હતી કે, અમરેલીના ચલાલા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ગોવિંદ હાલ જેતપુરમાં છે. જેથી પોલીસે જેતપુરમાંથી જ ગોવિંદ હરિભાઈ સોલંકી (રહે. જેતપુર અમરનગર રોડ મૂળ ફાફળી તા. કોડીનાર) ને ઝડપી લઇ જેતપુર સીટી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને ચલાલામાં હત્યાના કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને તે રાજકોટ મધ્યસ્થ જેલમાં પોતાની સજા કાપી રહ્યો હતો. દરમિયાન દોઢ વર્ષ પૂર્વે પેરોલ પર જેલ મુક્ત થયા બાદ તે નાસ્તો ફરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application