વાવાઝોડાના અસરગ્રસ્તોને આશરો આપતું વહિવટી તંત્ર

  • June 15, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે કાચા મકાનો અને દરિયાકિનારાની નજીક રહેતા ૨૫૦ જેટલા લોકોને આશ્રયસ્થાન પર સ્થળાંતરીત કરવામાં આવ્યા: ગ્રામ પંચાયત દ્વારા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થાને (માધ્યમિક શાળા) ખસેડી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે

સંભવિત ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.જામનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારો,કાચા મકાનો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં કુલ આશરે દસ હજાર લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોટી ખાવડી ગામે આવેલ માધ્યમિક શાળાને આશ્રય સ્થાન તરીકે જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા ૨૫૦ જેટલા અસરગ્રસ્તોને ૩ દિવસથી શાળામાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે. ગ્રામપંચાયત દ્વારા તમામને રહેવાની, જમવાની તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.જેથી લોકોએ વાવાઝોડાના ભય વચ્ચે રાહતનો શ્વાસ લીધો છે.
મોટી ખાવડીના તલાટીમંત્રી ભારદ્વાજસિંહ વાઘેલા જણાવે છે કે, સરકારની સૂચના અનુસાર ગ્રામપંચાયત દ્વારા આશ્રિતોને રહેવાની, સવારનો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન, આરોગ્યની, સુવાની તેમજ પ્રાથમિક તમામ જરૂરીયાતો પૂરી પાડવામાં આવી રહી છે. ૨૫૦ જેટલા લોકોને ત્રણ દિવસથી ગ્રામપંચાયત દ્વારા જમવાનું આપવામાં આવી રહ્યું છે.અને ગામના ૫ જેટલા બહેનો સેવાકીય કામ કરી જમવાનું બનાવી આપે છે. આશ્રય સ્થાનમાં હાલ તમામ લોકો સુરક્ષિત છે.
આશ્રયસ્થાનમાં આશરો મેળવનાર મોટી ખાવડીના આંબાવાડી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ રાઠોડ જણાવે છે કે, વાવાઝોડાના ખતરાને લઈને અમને માધ્યમિક શાળામાં લઈ આવવામાં આવ્યા છે. અંહી ગ્રામ પંચાયત દ્વારા અમારી ખૂબ સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે.સવારે ચા-નાસ્તો, બપોરે અને સાંજે સારું ભોજન, પીવાનું શુદ્ધ પાણી, સુવાની, આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. તે બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું.
સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા હંસાબેન જણાવે છે કે સરકારે અમને આશરો આપ્યો તે બદલ તેમનો હું આભાર માનું છું.અહિયાં અમને ભોજન,પાણી, રહેવાની ખૂબ સારી સુવિધા મળી છે.અમારા નાના બાળકોને નાસ્તો આપવામાં આવે છે.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સગર્ભાઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.બાળકોનું આરોગ્ય તપાસવામાં આવે છે.વાવાઝોડાના ખતરાને લઈને સરપંચ દ્વારા અમારા ઘરે આવીને ત્રણ દિવસ પહેલા અમને સમજાવવામાં આવ્યા હતા અને આશ્રય સ્થાનમાં આવી જવા જણાવ્યું હતું.ત્રણ દિવસથી અમને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application