દિગજામ મીલ નજીક ગાયના તબેલામાં નાના બાળકોને બાળ મજૂરી કરાવાતાં તંત્રની કાર્યવાહી

  • February 13, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રમ આયુક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા બે બાળમજૂરોને મુક્ત કરાવાયા: તબેલા સંચાલક સામે ગુનો


જામનગર તા ૧૨, જામનગર શહેરમાં બાળ મજૂરીના કાયદાને લઈને તંત્ર દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે આવી એક ઘટના જામનગર શહેરના દિગજામ મીલ પાસે આવેલ સમર્પણ બેડી બંદર રીંગરોડ પર ભક્તિનગર પાસે બની છે.


જ્યાં એક ખુલ્લા વાડામાં ગાયોનો તબેલો બનાવીને તબેલો ચલાવતા નરશી ચંદ્રદેવ યાદવ નામના પરપ્રાંતીય શખ્સ દ્વારા ૧૪ વર્ષથી નાની વયના બાળકો પાસે થી બાળ મજુરી કરાવાતી હોવાથી બંને બાળકોને મુક્ત કરાવ્યા પછી સંચાલક  સામે જામનગરની શ્રમ આયુક્ત વિભાગની ટાસ્ક ફોર્સ ની ટીમે આકરી કાર્યવાહી કરી હતી.


શ્રમ આયુક્ત વિભાગની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ઉપરોક્ત વિસ્તારના તબેલા સંચાલક દ્વારા ૧૪ વર્ષથી નાની વયના બાળકો પાસેથી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે જેથી શ્રમ આયુક્ત વિભાગની કચેરીના સરકારી અધિકારી ડો. ડી.ડી. રામી ની રાહબરી હેઠળ તેઓની સાથે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારી વાય. આઈ. પેન્ડાલ, બાળ સુરક્ષા એકમના હેતલબેન કીલાણીયા, મજૂર મહાજન સંઘના જનરલ સેક્રેટરી પંકજ જોશી, સી.આર.સી કો-ઓર્ડીનેટર ડો. ચેતન પી. ભટ્ટ, પોલીસી વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ના એ.એસ.આઈ. રમલભાઈ ગઢવી અને હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ઝાલા સહિતની ટાસ્ક ફોર્ષ ની ટુકડી ઉપરોક્ત સ્થળે પહોંચી હતી, અને સ્થળ પર જઈને નિરીક્ષણ કરતાં ૧૪ વર્ષથી નાની વયના બે બાળકો પાસેથી બાળમજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


જેથી બંને બાળકોને મુક્ત કરાવ્યા હતા, અને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા છે, ઉપરાંત તબેલાના સંચાલક નરશી ચંદ્રદેવ યાદવ સામે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ ૩ ,૧૪ (એક)  મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સરકાર પક્ષે શ્રમ આયુક્ત અધિકારી ડો. ડી.ડી. રામી જાતે ફરિયાદી બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application