અદાણીના જવાથી દુનિયાને ખોટો સંદેશ ગયો શ્રીલંકાના સાંસદના તેમની સરકાર પર પ્રહારો

  • March 03, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં, ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીએ શ્રીલંકામાં તેના બે પ્રસ્તાવિત પવન ઉર્જા પ્રોજેકટસ છોડી દીધા હતા. આ અંગે શ્રીલંકાના સાંસદે દેશની સરકાર પર નિશાન સાધ્યું છે. ટીપીએ સાંસદ મનો ગણેશનએ સંસદમાં જણાવ્યું હતું કે અદાણીના જવાથી દુનિયાને ખોટો સંદેશ ગયો છે અને તમે અદાણીને છોડા નથી, પરંતુ અદાણીએ તમને છોડી દીધા છે.
અહેવાલ મુજબ, તમિલ પ્રોગ્રેસિવ એલાયન્સ (ટીપીએ) ના સાંસદ મનો ગણેશને શ્રીલંકામાં અદાણી મુદ્દા પર સંસદને સંબોધિત કરતી વખતે, શ્રીલંકન સરકારને જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનજીર્ના જવાથી એફડીઆઈ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. તેમણે સરકાર અને રાષ્ટ્ર્રપતિ અનુરા કુમારા દિસાનાયકેને સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે યુએઈ ગયા હતા અને પાછા ફર્યા, ત્યાં શું થયું? શું કોઈ રોકાણ છે? ગણેશનના મતે, વિદેશી રોકાણકારો અહીં ફકત ભારતીય ભાગીદારો સાથે જ આવશે.
શ્રીલંકાના સાંસદ અહીં જ અટકયા નહીં, પરંતુ પોતાના સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું કે, તમે અદાણીને છોડા નથી, પરંતુ સત્ય એ છે કે અદાણીએ તમને છોડી દીધા.' તેમણે કહ્યું કે કિંમત નિર્ધારણ અંગેનો અમારો મુદ્દો, જો કોઈ હોય, તો તેની ચર્ચા બુદ્ધિપૂર્વક થઈ શકી હોત. ભારત સાથે ગ્રીડ કનેકિટવિટી દ્રારા સંભવિત ઉર્જા નિકાસ શ્રીલંકાને આવક લાવશે, તમે આ સમજવામાં નિષ્ફળ ગયા.
અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીએ શ્રીલંકાને તેના બોર્ડના શ્રીલંકામાં નવીનીકરણીય પવન ઉર્જા પ્રોજેકટસ અને બે પ્રસ્તાવિત ટ્રાન્સમિશન પ્રોજેકટસમાંથી ખસી જવાના નિર્ણયની જાણ કરી હતી. આ ૪૮૪ મેગાવોટનો પ્રોજેકટ શ્રીલંકાના મન્નાર અને પૂનરી દરિયાકાંઠાના વિસ્તારોમાં બનવાનો હતો. અહેવાલ મુજબ, કંપનીએ દેશના સંબંધિત વિભાગને એક નોંધ દ્રારા આ અંગે જાણ કરી હતી અને એમ પણ કહ્યું હતું કે અમે શ્રીલંકા પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને જો શ્રીલંકા સરકાર ઇચ્છે તો અમે ભવિષ્યમાં સહયોગ કરવા તૈયાર છીએ.
શ્રીલંકાએ ૨૦૨૨માં તેના આર્થિક સંકટ દરમિયાન ગંભીર વીજળી કાપ અને ઈંધણની અછતનો સામનો કરવો પડો હતો. તે મોંઘા આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે નવીનીકરણીય ઉર્જા પ્રોજેકટસને વેગ આપવા માટે કામ કરી રહ્યું છે. મે ૨૦૨૪ માં, શ્રીલંકાની પાછલી સરકારે ટાપુના ઉત્તરપશ્ચિમ ક્ષેત્રમાં ઉત્પાદન માટે અદાણી વિન્ડ એનર્જી સર્વિસીસ પાસેથી ૦.૦૮૨૬ ડોલર પ્રતિ કિલોવોટના ભાવે વીજળી ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ સોદાનો કામદારો તરફથી વિરોધ થયો હતો, જેઓ માનતા હતા કે નાના નવીનીકરણીય ઉર્જા પ્રોજેકટસ અદાણીના પ્રસ્તાવ કરતાં ઘણા ઓછા ખર્ચે વીજળી પૂરી પાડવા સક્ષમ છે. હવે કંપનીએ આ પ્રોજેકટસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application