અભિનેતા રણવીર સિંહે મૈસૂર સ્થિત ઐતિહાસિક ચામુંડેશ્વરી દેવી મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના કરી છે. વર્ષ ૨૦૨૫માં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) દરમિયાન બ્લોકબસ્ટર કન્નડ ફિલ્મ 'કાંતારા'ના પવિત્ર 'દૈવ' પાત્રની નકલ કરવા બદલ ઊભા થયેલા વિવાદ સંદર્ભે કર્ણાટક હાઈકોર્ટે આપેલા નિર્દેશોને પગલે રણવીર સિંહે આ પગલું ભર્યું છે.
સમગ્ર વિવાદ અને કોર્ટની કાર્યવાહી
૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગોવા ખાતે યોજાયેલા સમારોહમાં રણવીર સિંહે ફિલ્મ 'કાંતારા'ના દિગ્દર્શક અને અભિનેતા રિષભ શેટ્ટીના દૈવ વાળા દ્રશ્યની મિમિક્રી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કન્નડ સમુદાયના એક વર્ગે ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો આરોપ લગાવી રણવીર વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરાવી હતી. આ મામલે રણવીર સિંહે ફેબ્રુઆરીમાં રાહત માટે કર્ણાટક હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારબાદ એપ્રિલ મહિનામાં અભિનેતાએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને બિનશરતી માફી માગી હતી. અદાલતે માફી સ્વીકારવાની સાથે જ તેમને આગામી ચાર સપ્તાહની અંદર ચામુંડેશ્વરી મંદિરમાં જઈને પૂજા કરવાનો આદેશ આપ્યો હતો.
ગુપ્ત રખાયેલી મંદિરની મુલાકાત
અદાલતનાઆદેશનું પાલન કરવા માટે રણવીર સિંહ મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટથી સીધા મૈસૂર પહોંચ્યા હતા. કાનૂની પ્રક્રિયા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી. મંદિરમાં પ્રવેશીને ગર્ભગૃહ સુધી પહોંચવા દરમિયાન તેમણે મોં પર માસ્ક પહેરી રાખ્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતે દેવી ચામુંડેશ્વરી સમક્ષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.અગાઉ સોશિયલ મીડિયા પર પોતાની સ્પષ્ટતા આપતા રણવીર સિંહે જણાવ્યું હતું કે, તેમનો ઈરાદો માત્ર રિષભ શેટ્ટીના શાનદાર અભિનયની પ્રશંસા કરવાનો હતો અને તેઓ દેશની દરેક સંસ્કૃતિ તથા પરંપરાનું દિલથી સન્માન કરે છે.