મનસ્વી રીતે ગેરહાજર રહી અને ફરજ પાલન ન કરતા ખંભાળિયાના બે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી

  • March 13, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ દ્વારા રજા ઉપર રહી અને ફરજ પર આવવા અંગે અધિકારીના હુકમનો અનાદર કરવા સબબ ઝારેરા અને ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)ના બે લોકરક્ષક સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરા ગામે રહેતા અને ખંભાળિયા પોલીસ મથકમાં આર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ પરબતભાઈ પિપરોતર દ્વારા તારીખ ૧૭ જાન્યુઆરીથી અવિરત રીતે અહીંના પોલીસ મથકમાં પોતાની નિયત ફરજ બજાવવાના બદલે અવારનવાર પોલીસ અધિકારીના કામમાંથી મુક્તિ મેળવવા માટે મનસ્વી રીતે ગેરહાજર રહેતા હતા. આમ, ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરીને તેમના હુકમને અવગણીને કોઈ વ્યાજબી કારણ વગર અવિરત રીતે રજા ઉપર રહેતા હોય, મયુરભાઈ દ્વારા પોતાના હોદ્દાની ફરજો બજાવતા ન હોવાથી તેણે પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ અંગે બેદરકારી અને નિષ્કાળજી દાખવતા હોવાનું ખુલવા પામ્યું છે.
આના અનુસંધાને ખંભાળિયાના હેડ ક્વાર્ટરમાં રિઝર્વ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા એમ.કે. પાંડાવદરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં લોકરક્ષક મયુરભાઈ પીપરોતર સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૪૫ મુજબ ગુનો નોંધાયો છે.
અન્ય એક કાર્યવાહીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ખાંભડા ખાતે રહેતા અને અહીંના પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ભવાનીસિંહ ખુમાનસિંહ જાદવ દ્વારા પણ તા. ૧૭ જાન્યુઆરીથી મનસ્વી રીતે કોઈ વ્યાજબી કારણ વગર ગેરહાજર રહીને ઉપરી અધિકારીના હુકમનો પાલન ન કરતા ફરજમાં નિષ્કાળજી દાખવતા હોવાનું જાહેર થયું છે. જે સંદર્ભે પી.એસ.આઈ. માલદેભાઈ પાંડાવદરાની ફરિયાદ પરથી અહીંના પોલીસ મથકમાં તેમની સામે જી.પી. એક્ટરની કલમ ૧૪૫ હેઠળ ગુનો નોંધાયો છે. આ અંગેની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોઈડા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application