જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનનો પગની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત

  • March 04, 2024 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોડીયાર કોલોની સંતોષી માતાના મંદિર પાસે રહેતી પરણીતાની અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા
જામનગર શહેરમાં ગળાફાંસ દ્વારા આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે. નવાગામ ઘેડમાં રહેતા એક યુવાને પગની બીમારી થી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો છે. જયારે ખોડીયાર કોલોની સંતોષી માતાના મંદિર પાસે રહેતી એક પરણીતાએ ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો છે.
જામનગરમાં નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં રહેતા જીતેન્દ્ર ધનજીભાઈ નામના ૩૫ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં ટીવીના કેબલ વડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે સુરેશ બાબુભાઈ રાણેવાડિયા એ પોલીસને જાણ કરતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળ દોડી ગઈ હતી, અને તપાસ કરતા જીતેન્દ્ર રાણીવાડિયા નું મૃત્યુ હોવાનું જાહેર કર્યું હતું. પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાતાં પીએસઆઇ કે. એન. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતાઝ અને મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક છેલ્લા ચારેક વર્ષથી પગના ગોળાની બીમારીથી પીડાતા હતા, અને ચાલી શકતા ન હતા. જે બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
આત્મહત્યાનો બીજો બનાવ ખોડીયાર કોલોની રોડ પર સંતોષી માતા ના મંદિર પાસે બન્યો હતો. ત્યાં રહેતી ખીમીબેન લાખાભાઈ બનેજા નામની ૪૫ વર્ષની પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે સીટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.બી. સદાદિયા તપાસ ચલાવે છે.
***
મોટા વડીયા ગામના યુવાનને ચાલુ બાઈકે આંચકીથી પટકાતા મૃત્યુ: જામનગરના વૃઘ્ધનું ફેફસાની બિમારી સબબ પ્રાણપંખેરુ ઉડયું

 જામજોધપુર તાલુકાના મોટાવડિયા ગામના એક યુવાનને ચાલુ બાઇકમાં આંચકી આવી જતાં નીચે પટકાઇ પડ્યા પછી ઇજાગ્રસ્ત બનતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
જામજોધપુર તાલુકાના મોટાવડિયા ગામમાં રહેતા કિરીટભાઈ અરજણભાઈ ભારવાડીયા નામના ૨૮ વર્ષના યુવાનને છેલ્લા ૬ મહિનાથી આંચકી આવવાની સમસ્યા હતી, અને તેની દવા પણ ચાલતી હતી. દરમિયાન તા. ૧ના રોજ પોતાનું મોટરસાયકલ લઈને જામજોધપુર તાલુકાના વસંતપુર ગામેં જવાના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા.
 દરમિયાન ચાલુ બાઈકમાં આંચકી આવી જતાં નીચે પટકાઈ પડ્યા પછી તેને સૌપ્રથમ જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જીતેશભાઈ અરજણભાઈ ભારવાડીયા એ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જામનગરમાં અંબાજીના ચોક વિસ્તારમાં રહેતા અસીમ આઝાદભાઈ બીરેન નામના ૬૫ વર્ષના બુઝુર્ગ માનસિક બીમારીથી પીડાતા હતા, અને બે વર્ષથી માનસિક દર્દી તરીકે સારા થયાના ગૃહમાં રહેતા હતા અને કોઇ વાલી વારસ ન હોય છેલ્લા દસેક દિવસથી ફેફસાની બિમારી સબબ જી.જી. હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં બિમારી સબબ તેમનું મૃત્યુ નિપજયું છે આ અંગે ખોડીયાર પાર્કમાં રહેતા મનોજકુમાર વ્યાસ દ્વારા સીટી-બી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
***
માનસિક બીમારીથી કંટાળીને સલાયાના યુવાન તેમજ સણોસરીના મહિલાનો આપઘાત

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એજાજ હારુન ભાયા નામના ૩૫ વર્ષના યુવાનને છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારી હોવાથી તેમની સારવાર જામનગરની હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ વચ્ચે તેમણે આ બીમારીથી કંટાળીને શનિવારે દરિયામાં ઝંપલાવી દેતા તેમનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આપઘાતના આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અખ્તર હુસેન હારૂનભાઈ ભાયા દ્વારા સલાયા મરીન પોલીસને જાણ કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના ગામે સણોસરી ગામે રહેતા પમીબેન ધાનાભાઈ લખમણભાઈ લગારીયા નામના ૪૦ વર્ષના મહિલા છેલ્લા ત્રણેક વર્ષે માનસિક રીતે અસ્વસ્થ હોય, તેમની આ બીમારીથી કંટાળીને ગત તારીખ ૧૩ ડિસેમ્બરના રોજ તેઓ પોતાના ઘરે એકલા હતા, ત્યારે પોતાના હાથે પોતાના શરીરે કપડા પર કેરોસીન છાંટી અને દીવાસળી ચાંપી લીધી હતી. આથી ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પમીબેન લગારીયાને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ ધાનાભાઈ લખમણભાઈ લગારીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
***
લાલપુર તાલુકાના મેમાણા ગામના ખેડૂતને હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામના એક ખેડૂતનું હાર્ટ ફેઈલ થઈ જવાના કારણે અપમૃત્યુ થયું છે.
લાલપુરના મેમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ચંદુભા જાડેજા નામના ૫૧ વર્ષના ખેડૂત ને પોતાના ઘેર એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, અને અવાચક બની ગયા પછી તેઓનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. તેઓનો હાર્ટ ફેઈલ થઈ જવાના કારણે મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે.
જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ વિજયસિંહ ચંદુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application