ખંભાળિયાના યુવાન સાથે સુરતના બે શખ્સો દ્વારા રૂપિયા પોણા સાત લાખની છેતરપિંડી

  • October 22, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં આવેલી બી.એન.જી. ઈન્ટરનેશનલ નામની પેઢી ખાતે કલ્યાણપુર તાલુકાના ગણેશગઢ ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા ભરતભાઈ નુંઘાભાઈ ગોજીયા નામના 27 વર્ષના આહિર યુવાન સાથે નીલકંઠ ટ્રેડિંગ પેઢીના ભાગીદાર એવા આરોપી કિરીટ વલ્લભભાઈ મૂંગરા અને સમીર દશરથભાઈ પટેલ નામના સુરત ખાતે રહેતા બે શખ્સો દ્વારા ફરિયાદી ભરતભાઈ સાથે પ્રથમ તો 10 ટન મગફળીનો વાયદો સમયસર પૂરો કરી અને વિશ્વાસમાં લીધા બાદ વધુ 20 ટન મગફળીના દાણાનો રૂપિયા 22,09,332 નો વાયદો કરી, રૂપિયા પાંચ લાખ ભરતભાઈના એકાઉન્ટમાં સિક્યુરિટી પેટે આપીને રૂપિયા 22 લાખનો નીલકંઠ ટ્રેડિંગ નામની પેઢીનો બંધન બેન્કનો રતલામ શાખાનો ચેક કુરિયર મારફતે મોકલી આપ્યો હતો.


આ રીતે વિશ્વાસમાં લઈ અને વાયદા મુજબ 20 ટન મગફળીના દાણા બંને શખ્સોએ મેળવી લીધા હતા. ત્યાર બાદ વાયદાના બાકી રૂપિયા 17,09,332 ની ઉઘરાણી કરતા આરોપી સમીર દશરથભાઈએ બાકીના રૂપિયા ચૂકવવાની જવાબદારી લઈ અને ભરોસો આપી, ફરિયાદી ભરતભાઈ પાસે આરોપી સમીરે બાકીના રૂપિયા 15 દિવસમાં આપી દેવાનું નોટરી લખાણ કરી અને વધુ એક વખત ભરતભાઈને વિશ્વાસમાં લીધા હતા.


ત્યાર બાદ રૂ. 11,25,000 ની રકમ તેઓએ ચૂકવી આપી હતી. જ્યારે બાકીના રૂપિયા પોણા સાત લાખ જેટલી રકમ અંગે ફરિયાદી ભરતભાઈએ આરોપીઓ પાસે અવારનવાર ફોનમાં તેમજ રૂબરૂ ઉઘરાણી કરવા છતાં ન આપવામાં આવતા આખરે આ અંગે ભરતભાઈ નુંઘાભાઈ ગોજીયા દ્વારા સુરતના બંને શખ્સો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application