કોઇનો વાંક નથી, રાજીખુશીથી પગલુ ભરુ છું, ચિઠ્ઠી લખી યુવકે છઠ્ઠા માળેથી ઝંપલાવતા મોત

  • March 26, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં યુવાવયના વ્યક્તિઓના આપઘાતના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગઈકાલે જુના મોરબી રોડ પર સેફ્રોન હાઇટ્‍સમાં રહેતા યુવકે એપાર્ટમેન્ટના છઠા માળેથી ઝંપલાવી મોત મેળવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. યુવકએ આપઘાત પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં કોઈનો કાંઈ વાંક નથી, હું રાજીખુશીથી પગલું ભરું છું તેમ લખ્યું હતું. જે પોલીસે કબ્જે કરી કાર્યવાહી કરી છે.


પ્રાપ્ત વિગત મુજબ જુના મોરબી રોડ પર સેફ્રોન હાઇટ્‍સમાં રહેતો ભાવીક વિજયભાઇ ટોપીયા (ઉ.વ.૨૪) ના યુવાને એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી લેતા ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે આસપાસના રહેવાસીઓ અને પરિવારજનો દોડી ગયા હતા કોઈએ ૧૦૮ અને પોલીસને જાણ કરતા બી-ડિવીઝન પોલીસ ઘટના સ્‍થળે પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવક સામાકાંઠે સંતકબીર રોડ પર ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતો હતો અને એક બહેનથી નાનો અને અપરિણીત હતો. પિતા વિજયભાઇ ઇમિટેશનનું કામ કરે છે.


સાંજે ભાવીક ઘરે આવ્યો ત્યારે માતા સાથે શાકભાજી લેવા જવા બાબતે વાતચીત કર્યા બાદ પગલું ભરી લીધું હતું. પોલીસની તપાસમાં આપઘાત પૂર્વે યુવકે લખેલી એક સ્‍યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્‍યું છે કે કોઇનો કંઇ જ વાંક નથી, રાજીખુશીથી આ પગલુ ભરુ છું. તેમજ દૂકાનના હિસાબની વિગતો પણ લખી હતી. પોલીસે સ્યૂસાઈડ નોટ કબ્‍જે કરી છે. પરિવાર મૂળ મઘરવાડાનો વતની હતી છે અને બે મહિના પહેલા જ ફલેટ લીધો હતો એકના એક પુત્રના મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application