જામજોધપુરનો યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો

  • March 11, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર વ્યાજખોરોએ લાખોનું વ્યાજ વસુલી ધમકી દીધાની પોલીસ ફરિયાદ


જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો એક બાવાજી યુવાન જુદા જુદા ચાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે, પઠાણી ઉઘરાણી કરવામાં આવતા આખરે કંટાળેલા યુવાને પોલીસનું શરણ લીધુ હતું અને ગુનો નોંધાવ્યો હતો.


જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતા દર્શકગીરી રાજેશગીરી ગોસ્વામી નામના 24 વર્ષના બાવાજી યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની  જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


સૌપ્રથમ તે બેભાન અવસ્થામાં હતો, પરંતુ હાલ ભાનમાં આવી જતાં પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, અને પોતે અલગ અલગ ચાર વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો હોવાથી તેઓના ત્રાસ અને પઠાણી ઉઘરાણીના કારણે આખરે જિંદગીથી હારી થાકી જઇ ઝેર પી લીધું હોવાનું જણાવ્યું હતું. જેના નિવેદનના આધારે પોલીસે  ચાર વ્યાજખોરો લાલપુર પંથકના જયપાલસિંહ ઝાલા, ઉપરાંત પૃથ્વીરાજસિંહ તેમજ જામનગરના મુન્નાભાઈ વાણંદ અને કપિલભાઈ કનખરા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે અને હજુ વધુ મોટી રકમ પડાવી લેવા માટે ધાકધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.


જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને  જુદા જુદા સમયે ઉંચા વ્યાજ દરે નાણા લીધા હતા અને વ્યાજ નહી ચુકવી શકતા સતત ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ફોરવ્હીલ અને મકાન નામે કરાવી લેવા બળજબરીથી કઢાવવાની કોશિષ કરીને પરેશાન કરવામાં આવતો હતો. વધુમાં મળેલી વિગત મુજબ યુવાન પાસેથી વ્યાજખોરો રાક્ષસી વ્યાજ વસુલતા હતા અગાઉ કાર ફાઇનાન્સમાં લીધી હતી અને આશરે બેએક વર્ષ પહેલા તેના પિતાનું ઓપરેશન કરાવવાનુ હોવાથી તોતીંગ વ્યાજદરે રકમ લીધી હતી, કટકે કટકે વ્યાજ ચુકવતો હતો અને આખરે વ્યાજના વિષચક્રમાં યુવાન સપડાયો હતો. ફરીયાદના આધારે શેઠવડાળા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application