માધાપર ભુંગા અને ખાનકોટડામાં આપઘાતના બે બનાવ

  • March 26, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાઘેર યુવાનનો માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસો : મહિલાનો ડાયાબિટીસ અને મગજની બીમારીથી કંટાળી જઈ અગનપછેડી ઓઢી : ગોવાણા ગામમાં મહિલાને એરુ આભડી ગયો

જામનગરના માધાપર ભુંગા તેમજ કાલાવડ પંથકમાં હોળીના તહેવારના સપરમાં દિવસે આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે, અને એક યુવાન તથા એક પ્રૌઢ મહીલાએ આત્મહત્યા કરી લઇ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા મહિલાને કોઈ ઝેરી જાનવર કરડી જતાં અપમૃત્યુ થયું છે.
જામનગરમાં માધાપર ભુંગા વિસ્તારમાં બન્યો હતો. જયાં રહેતા ગુલામ હુસેન ઈસ્માઈલભાઈ કમોરા (ઉ.વ.૩૭) નામના વાઘેર યુવાને છેલ્લા ૧૨ વર્ષની પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ, ગઈ કાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ સરફરાજ ઈસ્માઈલભાઈ કમોરાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી કરી હતી.
બીજો બનાવમાં કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતા સવિતાબેન નાગજીભાઈ ગલાણી નામના ૫૫ વર્ષના પ્રૌઢ મહિલા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસ તેમજ મગજની બીમારીથી પીડાતા હતા, અને તેની દવા લેવા છતાં પણ સારું થતું ન હોવાથી પોતાની જિંદગીથી તંગ આવી જઇ ઘરમાં પડેલું તેલ પોતાની કાયા પર રેડી દીધું હતું ત્યારબાદ પોતે  અગ્નિસ્નાન કરી લેતાં તેઓનું ગંભીર રીતે દાજી ગયા પછી મૃત્યુ નિપજ્યું છે.
 આ બનાવ અંગે મૃતકના પતિ નાગજીભાઈ મોહનભાઈ ગલાણીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ એક બનાવમાં લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા વિજયાબેન સામતભાઈ પીપરોતર  (ઉ.વ.૬૦) નામના વૃઘ્ધા ગત તા. ૨૪ના રોજ ઓસરીમાં ઘરકામ કરતા હતા એ દરમ્યાન કોઇ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે લઇ જતા તેણીનું મૃત્યુ થયુ હતું.  આ બનાવ અંગે સંજયભાઈ સામતભાઈ પીપરોતરે પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
***
ખીરી ગામમાં ભુલથી એસિડવાળું પાણી પી લેતા શ્રમિક મહિલાનું મૃત્યુ
જામનગર તાલુકાના ધુંવાવ માં રહેતી એક શ્રમિક યુવતીએ ખીરી ગામ પાસે મજૂરી કામ દરમિયાન ભૂલથી એસિડ વાળું પાણી પી લેતાં તેની તબિયત લથડ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
જામનગર હાઉસિંગ બોર્ડની ચાલીમાં રહેતી ભાનુબેન સોમાભાઈ વાઘેલા નામની ૩૦ વર્ષની દેવીપુજક પરણીતા ૧૮મી તારીખે જોડિયા તાલુકાના ખીરી ગામની સીમમાં તાડી કાપવા માટે ગઈ હતી.
 જે દરમિયાન તેણીને પાણીની તરસ લાગતાં ભુલથી એસિડવાળા ડબલામાં પાણી પી લેવાથી તેણીને વિપરીત અસર થઈ હતી, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના કુટુંબી ધારશીભાઈ રાયમલભાઈ દેવીપુજકે પોલીસને જાણ કરી હતી.
***
હિંમતનગરના યુવાને દ્વારકામાં ઝેરી દવા પીધી: મૃત્યુ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રહેતા ધવલભાઈ બાબુભાઈ પ્રણામી નામના ૨૬ વર્ષના યુવાને ગત તારીખ ૨૦ માર્ચના રોજ દ્વારકામાં આવેલી એક ધર્મશાળા ખાતે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પિતા બાબુભાઈ વાલાભાઈ પ્રણામીએ દ્વારકા પોલીસને કરી છે.
***
જામનગરમાં બીમારીમાં સપડાયેલા વૃઘ્ધનું મૃત્યુ
જામનગરના સમર્પણ સર્કલ નજીક હીરા પાર્ક વિસ્તારમાં રહેતા વૃઘ્ધને બીપી ની બીમારી તથા ડાયાબિટીસની બીમારીના કારણે તબિયત બગડતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરમાં હીરાપાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ગાંડાલાલ હરજીવનભાઈ નિમાવત નામના વૃઘ્ધ છેલ્લા કેટલાક વર્ષથી ડાયાબિટીસ તેમજ બીપીની બીમારીથી પીડાતા હતા. જે બીમારીના કારણે તેઓની તબિયત ખરાબ થઈ હતી, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર કિશોરભાઈ ગાંડાલાલ નિમાવતે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહના કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application