શહેરમાં હાર્ટએટેકથી યુવક અને બે આધેડના મુત્યુ

  • March 04, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં હાર્ટ એટેકથી મુત્યુના બનાવ યથાવત જોવા મળી રહ્યા છે. એડીબી હોટેલ પાછળ આસ્થા શાંગ્રીલા રોડ ઉપર મંડપ સર્વિસના ગોડાઉનમાં કામ કરતા 42 વર્ષીય શ્રમિક, રૈયાધારમાં બંસીધર સોસાયટીમાં રહેતા 47 વર્ષીય આધેડ અને મવડીમાં કેકે રેસિડેન્સીમાં રહેતા 52 વર્ષીય આધેડનું મૃત્યુ થયું છે.


પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ ઉપર એડીબી હોટલ પાછળ આસ્થા શાંગ્રીલા રોડ પર સિધ્ધિવિનાયક મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં કામ કરતા અને ત્યાં જ રહેતા સુરેન્દ્દભાઈ મુરારીભાઈ યાદવ (ઉ.વ.42) નામના યુવક આજે સવારે આઠેક વાગ્યે ગોડાઉનમાં હતા ત્યારે બેભાન થઇ ઢળી પડતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બિહારના વતની હતા અને અહીં ચારેક વર્ષથી મંડપ સર્વિસનું કામ કરતા હતા અને ત્યાં જ ગોડાઉનમાં રહેતા હતા. સંતાનમાં બે દીકરા છે. પરિવાર વતનમાં રહે છે. બનાવની જાણ મૃતકના પરિવારને કરતા રાજકોટ આવવા માટે રવાના થયા છે. હાર્ટ અટેક આવી ગયાનું જણાવ્યું હતું.


સ્કૂલવાન ચાલકને છાતીમાં દુઃખાવો જીવલેણ નીવડ્યો

રૈયાધારના શાંતિનગર પાસે આવેલી બંસીધર સોસાયટી શેરી નં-1માં રહેતા અને સ્કૂલવાનની વર્ધી કરતા જેશાભાઈ વિહાભાઈ કિહલા (ઉ.વ.47) નામના આધેડ આજે સવારે સ્કૂલવાન લઈને ઘરેથી નીકળા હતા ત્યારે છાતીમાં દુઃખાવો થતા લાખના બંગલા પાસે દવાખાને બતાવા માટે ગયા હતા દવા લઈને ઘરે આવતા તબિયત વધુ લથડતા તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇમરજન્સી ફરજપરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર જેશભાઈ ચાર ભાઈ ત્રણ બહેનમાં સૌથી નાના હતા અને સંતાનમાં બે દીકરા છે. સવારે ચા પાણી ઘરના સભ્યો સાથે પીધા બાદ વર્ધી માટે નીકળતા હતા ત્યારે છાતીમાં ઉપડેલો દુઃખાવો જીવલેણ નીવડ્યો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે જરૂરી કાગળો કર્યા હ્ચે.


મવડીમાં આધેડનું બેભાન હાલતમાં મોત

મવડી ગામમાં કે.કે. રેસીડેન્સી શેરી નં-1માં રહેતા મુકેશભાઈ ગોકળભાઇ પીપળવા (ઉ.વ.52) નામના આધેડ આજે સવારે નવેક વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં ગમગની છવાઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મુકેશભાઈ ખેતીકામ કરતા હતા અને ત્રણ ભાઇમાં વચેટ હતા. સંતાનમાં એક દીકરો દીકરી છે અને મૂળ વતન કાના વડાળા ગામ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application