સચાણામાં છાતીમાં દુ:ખાવો ઉપડતા માછીમાર યુવાન ઢળી પડયા

  • February 14, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરીયાઇ ભરતીના પાણીમાં ડુબી, ખુંપી જતા મૃત્યુ : પરિવારમાં શોકની લાગણી : હનુમાન ટેકરીમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવતર ટુકાવ્યું


જામનગરની ભાગોળે આવેલા સચાણા ગામમાં રહેતા વાઘેર યુવાન બે દિવસ પુર્વે પગદંડી માછીમારી કરવા દરીયા તરફ ગયા હતા એ વેળાએ તેઓને છાતીમાં દુ:ખાવો ઉપડતા ત્યાં ઢળી પડયા હતા, શોધખોળ કરતા દરીયાઇ પાણી-કાદવમાં ખુપેલી હાલતમાં મળી આવતા બેભાન અવસ્થામાં જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કરાયુ હતુ આથી પરિવારમાં શોકનીલાગણી ફેલાઇ ગઇ હતી. જયારે શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક યુવાને ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી છે.


જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અસગર ઇશાભાઇ જગા (ઉ.વ.45)  ગત તા. 12ના રોજ સવારના પાંચેક વાગ્યાના અરસામાં ચાલીને દરીયામાં માછીમારી કરવા માટે ગયા હતા, દરમ્યાન અચાનક તેઓને છાતીમાં દુ:ખાવો થતા નીચે પડી ગયા હતા.


દરીયામાં ભરતી આવતા પાણીમાં ડુબી ગયેલ હોય અને તેમના પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, આથી દરીયાના પાણીના કાદવમાં ખુંચી ગયેલ હાલતમાં અસગરભાઇ મળી આવતા તાકીદે ખાનગી વાહનમાં બેભાન હાલતમાં જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં લાવ્યા હતા જયાં ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે સચાણા ગામમાં રહેતા અમીન સુલેમાનભાઇ વાઘેર દ્વારા પંચ-એમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


અન્ય બનાવમાં જામનગરના હનુમાનટેકરી વિસ્તારમાં રહેતા મહેશ ખીમજીભાઇ પડાયા (ઉ.વ.32) નામના યુવાને ગઇકાલે તેમના ઘરે પતરાની આડશમાં દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે રાહુલભાઇ પડાયા દ્વારા સીટી-સી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી. કયા કારણસર યુવાને પગલુ ભર્યુ એ અંગે પોલસ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application