જામનગર-કાલાવડ હાઇવે રાજખોડલ હોટલથી આગળ મોટા થાવરીયા પાટીયા નજીક તા. ૨૧ના રાત્રીના રાજકોટથી દ્વારકા જતી મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે બેદરકારીથી ચલાવીને હડફેટે લીધી હતી જેમાં એક મહિલાનું મોત થયું છે અને એકને ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવ અંગે ક્રેઇન ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
રાજકોટના આજીડેમ પાસે રહેતા મુળ જસદણના ગઢડીયા ગામના વતની વલ્લભ રામાભાઇ ખટાણા (ઉ.વ.૩૩) નામના યુવાને ગઇકાલે પંચ-એમાં ક્રેઇન નં. સીજી૧૦એએસ-૩૬૬૫ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
વિગત ઉનુસાર ફરીયાદીના માતા જેઠીબેન રામાભાઇ ખટાણા તથા ફરીયાદીના ફુઇના દિકરી રાધાબેન ગભરૂભાઇ તેમજ કમુબેન અને આરતીબેન આ બધા તા. ૨૧ના રાજકોટથી પગપાળા દ્વારકા જતા હતા, દરમ્યાન જામનગર નજીક મોટા થાવરીયાના પાટીયાથી આગળ પહોચતા પાછળથી ઉપરોકત નંબરના ક્રેઇન ચાલકે બેદરકારીથી ચલાવીને ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં જેઠીબેનને માથામા ગંભીર ઇજા થતા મૃત્યુ થયુ હતું, જયારે રાધાબેનને ઘુંટણથી નીચેના ભાગે ગંભીર ઇજા પહોચી હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર અને હોસ્પીટલે દોડી ગઇ હતી બીજી બાજુ ફરીયાદના આધારે ક્રેઇન ચાલકની ધરપકડ કરવા તપાસ લંબાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકામાં ફુલડોલ ઉત્સવ અનુસંધાને અત્યારથી જ યાત્રીકોનો પ્રવાહ જોવા મળી રહયો છે અને અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા દર્શનાર્થે જઇ રહયા છે જયારે રાજકોટની મહિલાઓ દ્વારકા દર્શનાર્થે જતી વેળાએ થાવરીયા પાસે અકસ્માત નડયો હતો.