ગુજરાતભરની કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ ભણાવવાના મામલે પ્રથમ વર્ષમાં ટાઈ ટાઈ ફીશ

  • June 25, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતભરની કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનું ભણાવવાનું ચાલુ થઈ ગયું છે. પરંતુ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હજુ લગભગ તમામ કોલેજોમાં ભણાવવાનું બંધ છે. ગુજરાત સરકારે ચાલુ શૈક્ષણિક સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત 14 યુનિવર્સિટીઓમાં સરકારના પોર્ટલ મારફત રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું હોવાથી મોટાભાગની કોલેજોમાં વિદ્યાર્થીઓ જોવા મળતા નથી. પોર્ટલ મારફત રજીસ્ટ્રેશન અને એડમિશનની પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી સરેરાશ 40% જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આગામી તારીખ 27 ના રોજ એડમિશન માટેનો બીજો રાઉન્ડ અને તારીખ 7 જુલાઈના રોજ ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. ત્રણ રાઉન્ડ પૂરા થયા પછી સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ અત્યારની સ્થિતિ એ તો રાજ્યની મોટાભાગની કોલેજોને ઇન્ટેક મુજબના વિદ્યાર્થીઓ મળ્યા નથી. સંખ્યાબંધ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજો બંધ કરવી પડે તેવી નોબત આવી છે.
કોલેજોમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ જે તે યુનિવર્સિટીમાં કરવામાં આવતું હોય છે અને નવા શૈક્ષણિક સત્રમાં ઓગસ્ટ માસ સુધી યુનિવર્સિટીઓ એનરોલમેન્ટ કરતી હોય છે. પરંતુ આ વખતે ત્રીજો રાઉન્ડ સાત જુલાઈના રાખવામાં આવ્યો છે અને ત્યાર પછી એકાદ સપ્તાહ પ્રવેશ પ્રક્રિયામાં પસાર થઈ જશે. તે જોતા આ વખતે યુનિવર્સિટીઓમાં ઓગસ્ટના બદલે ઓક્ટોબર સુધી એનરોલમેન્ટની પ્રક્રિયા ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ છે.
શિક્ષણ જગતના જાણકારોના કહેવા મુજબ બી. એડ.,એન્જિનિયરિંગ સહિતની ફેકલ્ટીઓમાં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિથી એડમિશન અપાયા પછી છેલ્લા દિવસોમાં દરેક કોલેજને પોતાની રીતે પ્રવેશની છૂટ આપવામાં આવે છે. આ મુજબ 15 જુલાઈ પછી કોલેજોને પોતાની રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની છૂટ મળશે. પરંતુ ત્યાં સુધીમાં તો ખાનગી યુનિવર્સિટીઓ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના તરભાણા ભરાઈ જશે અને સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજો માટે થોડા ઘણા વિદ્યાર્થીઓ બચ્યા હશે.
પ્રથમ વર્ષમાં કોલેજોમાં વિદ્યાર્થીઓને એડમિશન મળતા નથી, મેરીટ જળવાતું નથી તેવી કોઈ ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ન હોવા છતાં સરકારે ઉતાવળીયા અને બિનજરૂરી પગલા લઈને પોર્ટલની વ્યવસ્થા કરી હોવાની ઉઘાડેછોગ ફરિયાદો શિક્ષણ જગતમાંથી ઉઠી રહી છે. પોર્ટલના મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તો પૂરતી જાણકારી નથી પરંતુ યુનિવર્સિટીના એક જ પ્રશ્ન અલગ અલગ ત્રણ અધિકારીને પૂછવામાં આવે તો ત્રણે ત્રણ અધિકારી પાસેથી જુદો જુદો જવાબ મળે તેવી અધકચરી માહિતી હોય તેવી પરિસ્થિતિ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application