નવાગામ ઘેડમાં પૈસાની ઉઘરાણીમાં દુકાનદારની કરાઇ ઘાતકી હત્યા

  • May 29, 2024 01:36 PM 

છરીના ઘા ઝીંકી પાડોશી શખ્સ ફરાર : પોલીસ કાફલો દોડી ગયો : બનાવના પગલે થોડો સમય તંગદીલી


જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઉધાર માલના પૈસાની ઉઘરાણી કરનાર દુકાનદારને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધાનો બનાવ સામે આવતા થોડો સમય આ વિસ્તારમાં તંગદીલી પ્રસરી ગઇ હતી, હોસ્પીટલ ખાતે ટોળા એકત્ર થયા હતા અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટે ટુકડીઓ દોડતી કરી હતી. ક્ષત્રીય યુવાનની હત્યાના બનાવથી અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી આ બનાવ અંગે નવાગામ ઘેડમાં રહેતા એક શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


જામનગરના નવાગામ ઘેડમાં રહેતા સહદેવસિંહ કેશુભા રાઠોડ (ઉ.વ.42) નામનો યુવાન અહીં કરીયાણાની દુકાન ચલાવે છે અને આરોપી જયદીપસિંહ તેની દુકાનેથી ઉધાર માલ લઇ ગયેલ હોય જે પૈસાની ગઇકાલે મોડી સાંજે દુકાનદારે ઉઘરાણી કરતા આરોપી ઉશ્કેરાયો હતો અને સામાન્ય બોલાચાલી કરી હતી દરમ્યાનમાં આરોપીને આ ઉઘરાણી નહી ગમતા ઉશ્કેરાઇ જઇને પોતાની પાસે રહેલી છરી વડે દુકાનદાર સહદેવસિંહ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો.


દુકાનદાર પર છરીના ઘા છાતી અને પડખા, બગલ નીચે ઝીંકી દેતા સહદેવસિંહ લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડયા હતા આથી તાકીદે તેમને જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, જો કે સારવર કારગત નીવડે એ પહેલા તેમનું મૃત્યુ નિપજયુ હતું. બનાવ હત્યામાં પલટાયો હતો.


આ અંગેની જાણ થતા લોકોના ટોળા જી.જી. હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા, બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી ઝાલા, સીટી-બી ડીવીઝનના ઇન્ચાર્જ પીઆઇ એન.એ. ચાવડા, પીએસઆઇ સોઢા સહિતની પોલીસ ટુકડી હોસ્પીટલ ખાતે ઘટના સ્થળે દોડી ગઇ હતી, બનાવ સબંધે વિગતો જાણી હતી અને નાશી છુટેલા શખ્સની શોધખોળ માટે તપાસ લંબાવી હતી.


ક્ષત્રીય વેપારી યુવાનની હત્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી, બનાવના પગલે થોડો સમય વાતાવરણમાં તંગદીલી જોવા મળી હતી.


આ બનાવ અંગે નવાગામ ઘેડ ગોપાલચોક, રાઠોડ ફળીમાં રહેતા કિશોરસિંહ નવલસિંહ રાઠોડ દ્વારા સીટી-બી ડીવીઝનમાં ગોપાલચોક, રાઠોડ ફળીમાં રહેતા જયદીપસિંહ ઉર્ફે મુંગો કેશુભા વાળા નામના શખસ સામે આઇપીસી કલમ 302, જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


જેમાં જણાવ્યુ હતું કે મરણજનાર સહદેવસિંહ આ વિસ્તારમાં કરીયાણાની દુકાન ચલાવતો હતો, આરોપી જયદીપસિંહ વાળા તેની દુકાનેથી ઉધારમાં માલ લઇ ગયો હોય અને ફરી ત્યાં આવતા દુકાનદારે પૈસાની ઉઘરાણી કરી હતી જે બાબતે ઉશ્કેરાઇને છરી વડે હુમલો કરીને ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application