- જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ ઉમટી પડશે -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે આદરભર્યું સ્થાન ધરાવતી અને આશરે અડધી સદી કરતા પણ વધુ જૂની શૈક્ષણિક સંસ્થા એસ.એન.ડી.ટી. હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ આગામી શનિવાર તેમજ રવિવાર તારીખ 31 મે તથા 1 જુનના રોજ યોજાનાર છે.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાં ભણી અને અનેક પૂર્વ વિદ્યાર્થીઓ હાલ ઉચ્ચ હોદા તેમજ બિઝનેસ અને સેવામાં અગ્રસ્થાન ધરાવે છે. ત્યારે વર્ષ 1970 થી 2024 સુધીના 54 વર્ષના સમયગાળા દરમિયાન અહીંથી ભણી ચૂકેલા અને ખંભાળિયા ઉપરાંત દેશ-વિદેશના વિસ્તારોમાં સ્થાયી થયેલા સેંકડો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના આ સ્નેહમિલન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડશે અને પોતાની નાનપણ તેમજ વિદ્યાર્થી અવસ્થાની ખાટી-મીઠી યાદો તાજા કરશે.
આ સાથે સંસ્થાના વડીલ ટ્રસ્ટીઓ તેમજ ભૂતપૂર્વ શિક્ષકો અને જે-તે સમયે સાથે અભ્યાસ કરતા મિત્રોને મળી અને શાળામાં ભણતર સમયની સ્મૃતિઓને વાગોળશે. આ સંકુલમાં 1970 ના દાયકાની સંસ્કારની દેવી તથા જુના બિલ્ડીંગની રેપ્લિકાનું અનાવરણ કરવામાં આવશે. આ સાથે ભૂતપૂર્વ શિક્ષકો અને આચાર્ય દ્વારા ખરેખર 1970 થી 1980 ના દાયકામાં ચાલતી તે રીતે શાળાનું સંચાલન કરી અને પૂર્વ વિદ્યાર્થીઓને ભાવવિભોર કરશે તેવું પણ સુંદર આયોજન થયું છે.
આવા અમૂલ્ય અવસરના નિર્માણ માટે સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, સ્ટાફ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આવા ફરી ન મળનારા અવસરમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓએ ખાસ જોડાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ, આચાર્ય - સ્ટાફ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ આયોજનમાં સહભાગી થવા હાલ પીઢ બની ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.